અસામાજિક તત્વો ગુનાઇત કૃત્યને અંજામ આપવા જૂના વાહનોનો ઉપયોગ કરતાં હોય છે
વેપારીઓએ વાહન લેનારા-વેંચનારની વિગતોનું રજીસ્ટર નિભાવ્યું ન હતું
ભરૂચ.
અસામાજિક તત્વો કોઇ ગુનાઇત કૃત્યને અંજામ આપવા માટે જૂના વાહનો તેમજ તેમના સ્પેરપાર્ટનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે જાહેર સલામતી અને સુરક્ષા માટે ભરૂચ જીલ્લામાં એસપી મયુર ચાવડાની સુચનાથી ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં જૂના વાહનોની લે-વેંચ કરનારાઓ દ્વારા તેમના ત્યાં વાહનો લેનારા-વેંચનારાઓની નોંધણી કરાય છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં ડ્રાઇવ દરમિયાન 63 વેપારીઓએ રજિસ્ટરની નિભાવતાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લો અતિસંવેદનશીલ જિલ્લો ગણાય છે. સુલેહ શાંતી અને સલામતીને ધ્યાનમાં રાખીને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં છે. જેમાં જૂના વાહનોની લે-વેચ કરનારાઓને પણ તેમના ગ્રાહકોની તમામ જરૂરી માહિતીની નોંધણી રજિસ્ટરમાં કરવા માટે તાકીદ કરવામાં આવી છે. છતાં પણ કેટલાંક વેપારીઓ રજિસ્ટર નિભાવણી કરતાં નથી. જેને લઇને ભરૂચ એસપી મયુર ચાવડાની સુચનાથી ભરૂચ એસઓજી તેમજ અન્ય પોલીસ સ્ટેશનોમાં બે દિવસની ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જૂના વાહનોની લે-વેચ કરનારાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. વેપારીઓએ તેમના ત્યાં જૂના વાહન આપવા આવેલાં તેમજ ખરીદી કરવા આવેલાં લોકોના નામ સરનામા, મોબાઇલ નંબર, તેમનું આઇડી પ્રુફ, તેમજ રેસિડન્સ પ્રુફ સહિત વાહન વેચવા-ખરીદવાનું કારણ સહિતની બાબતોની નોંધણી કરવામાં આવી છે કે નહીં તે તપાસ કરતાં જિલ્લામાં કુલ 63 વેપારીઓએ તે નોંધણી કરી ન હોવાનું ધ્યાનમાં આવતાં તેમની સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી હતી.
