ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલી કવિતા ધામ સોસાયટીમાં રહેતાં કરણ કાંતી પટેલ ઝઘડિયા ખાતે આવેલી વિર ફાર્મા કંપનીમાં જુનિયર ઓફિસર તરીકે નોકરી કરે છે. તેઓ તેમની કંપનીમાં નોકરીએ ગયાં હતાં. જ્યાંથી રાત્રીના સાડાદશેક વાગ્યે તેઓ છુટતાં તેઓ કંપનીની ઇકો કારમાં ભરૂચ પરત આવવા માટે નિકળ્યાં હતાં. તેમની સાથે પ્રથમસિંહ રાણા, વિકાસ વસાવા પણ હતાં. જોકે, રસ્તામાં મુલદ ચોકડીએ વિકાસ વસાવા ઉતરી ગયાં હતાં. જે બાદ તેઓ ભરૂચ તરફ આવી રહ્યાં હતાં. અરસામાં કેબલ બ્રીજના ઉત્તર છેડે ઝાડેશ્વર સર્કિટ હાઉસ પાસે એક મોટું બોઇલર ટ્રેલ રોડની સાઇડમાં ઉભી કરી દેવાયું હોઇ તેમની કાર ધડકાભેર તેમાં ભટકાઇ હતી. અકસ્માતમાં કરણ પટેલ તેમજ પ્રથમસિંહને ગંભીર ઇઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. અકસ્માતમાં તેમની કારને પણ ભારે નુકસાન થયું હતું. બનાવને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
