૧૧ પુરૂષ, ૧૮ મહિલા અને ૧૫ બાળકોનો સમાવેશ,
કેટલાંક બાંગલાદેશી ૨૦ વર્ષથી વધુ સમયથી ઘુષણખોરી કરી રહેતાં હતા
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં ઘુસણખોરી કરીને રહેનારાઓને શોધીને તેમને તેમના વતન ડિપોર્ટ કરવા માટે જિલ્લા પોલીસવડાએ સુચના આપી છે. જેના ભાગરૂપે ભરૂચ એસઓજીની ટીમ દ્વારા આવા ઘુસણખોરોને શોધવા માટેની ખાસ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં છેલ્લા ૪૮ કલાકમાં ૭ ટીમોએ ભરૂચ-અંકલેશ્વરમાંથી કુલ ૪૪ બાંગ્લાદેશીઓને ઝડપી પાડયાં છે.
પહેલગામમાં થયેલાં આતંકી હૂમલા બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ત્યારે દેશમાં ધુષણખોરી કરનારાઓને શોધીને તેમને ડિપોર્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઘુષણખોરો ગેરકાયદે રહેતાં હોવાની શક્યતાઓને લઈને ભરૂચ એસપીએ એસઓજીને ખાસ સુચના આપી આવા ઘુષણખોરોને શોધી તેમને ડિપોર્ટ કરવા સુચના આપી હતી. જેના ભાગરૂપે એસઓજીની ૭ ટીમોએ ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર તેમજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખાસ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ટીમે કુલ ૪૪ બાંગ્લાદેશીઓ ઝડપાયાં હતાં. જેમાં ૧૧ પુરુષ, ૧૮ મહિલા તેમજ ૧૫ બાળકોનો સમાવેશ થાય છે.
એસઓજીની ટીમે તમામ ઝડપાયેલાં બાંગ્લાદેશીઓને ભરૂચ હેડક્વાટર્સ ખાતે લઈ જવાયાં હતાં. તેમજ ત્યા તેમની પુછપરછ શરુ કરી હતી. પ્રાથમિક તબક્કે તેઓ ગેરકાયદે રીતે ભારતમાં ઘુષણખોરી કરી હોવાનું માલુમ પડયું છે. તેઓએ અહીં રહેવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યાં હતાં. ત્યારે તેમને ઘુષણખોરીમાં કોણે મદદ કરવા સાથે તેમના બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં કોણે સહયોગ કર્યો તેની વિગતો મેળવવાની પણ કવાયત હાથ ધરી છે.
ઝડપાયેલાં બાંગ્લાદેશીઓમાં કેટલાંક ૨૦ વર્ષથી ગુજરાતમાં જ રહેતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે તેઓ પૈકીના મોટાભાગના બાંગ્લાદેશીઓ મત્સ્ય પાલન (તળાવ)ના વ્યવસાય સાથે સંકળાયેલાં હોવાનું માલુમ પડયું છે. જોકે, કેટલાંક અલગ અલગ પ્રકારની મજુરીકામ કરીને ગુજરાન ચલાવતાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
અગાઉ પણ બે વાર બાંગ્લાદેશીઓ પકડાયાં હતાં પહેલગામમાં થયેલી આતંકી ઘટના બાદ જિલ્લામાં આવેલાં પાકિસ્તાનીઓને પરત તેમના વતન રવાના કરાયાં હતાં. દરમિયાનમાં પોલીસે બે વાર ઝુંબેશ હાથ ધરી જેમાં પહેલાં ૧૫ અને બાદમાં ૧૪ બાંગ્લાદેશીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. જે બાદ છેલ્લા ૪૮ કલાકામાં બીજા ૪૪ બાગ્લાદેશીઓ ઝડપાયાં છે.
