એક લેનની કામગીરી બાકી ને વરસાદ પડયો, વાહન ચાલકોની મુશ્કેલી વધી
તંત્ર દ્વારા બે મહિના પુરતુ વન-વે જાહેર કરવામાં આવ્યુ છે પરંતુ વન વે નામ પુરતુ જ રહ્યુ
ભરૂચ
ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂા.૨૩ કરોડના ખર્ચે માર્ગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેન રોડની કામગીરી પુર્ણ થઈ છે જયારે બીજી બાજુ ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના એક લેનની કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ છે જેને લઈ આ માર્ગ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે. ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી છે. તદઉપરાંત વરસાદી પાણીના કારણે ખાડાઓ ભરાઈ જતા વાહન ચાલકોને ખાડામાંથી વાહનો લઈને પસાર થવું મુશ્કેલ બન્યુ છે.

છેલ્લા બે દિવસથી ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના ચાર કિલોમીટરનો ટ્રાફીક જામ તો રહે છે પરંતુ આજે તો વહેલી સવારથી ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝાડેશ્વર ચોકડીથી ઝાડેશ્વર ગામ સુધી અને નેશનલ હાઈવે પર પણ આ ટ્રાફીકની અસર જોવા મળી હતી. આજે વહેલી સવારથી શાળા કોલેજે જતા બાળકો તથા પંધા-રોજગારે જતા લોકો અને કામ અર્થે જતા લોકોને ભારે હાલાકી પડી હતી. સતત ટ્રાફીક જામથી લોકો હેરાન થઈ ગયા છે. જો કે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂા.૨૩ કરોડના ખર્ચે ચાલી રહેલા રોડની કામગીરીને લઈ તંત્ર દ્વારા બે મહિના પુરતુ વન-વે જાહેર કરવામાં આવ્યુ છે પરંતુ વન વે નામ પુરતુ જ રહ્યું છે અહીં પોલીસ સ્ટાફના અભાવે મોટા વાહનો પણ પસાર થતા હોય છે જેને લઈ ટ્રાફીકમાં પણ વધુ અડચણરૂપ બનતા હોય છે.
રોડને અડીને આવેલી ગટરમાં લોકો-પશુ પડવાની ઘટનાઓ વધી ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધી એક બાજુની લેન બાકી રહી છે ત્યારે એને અડીને જ ખુલ્લી ગટરના કારણે અનેક લોકો ગટરોમાં પડતા હોય છે તથા મુંગા પશુઓ પણ આ ગટરોમાં પડતા અનેક ઈજાગ્રસ્ત બનતા હોય છે ત્યારે આવનારા દિવસોમાં ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના બાકી રહેલા એક લેનના રોડની કામગીરી વહેલી તકે પુર્ણ કરવામાં આવે તેવી સહદારીઓ માંગ કરી રહ્યા છે. ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીની એક લેનની કામગીરી સંપુર્ણપણે પુર્ણ થઈ ગઈ છે જો કે આ માર્ગને ખુલ્લો મુકવામાં આવે તો અહીં ટ્રાફીકનું નિરાકરણ આવે તેમ છે.
લોકો આડેધડ પાર્કિંગ કરતાં ટ્રાફિકની સમસ્યા વકરી ઝાડેશ્વર ચોકડી પર પણ અપુરતા પોલીસ સ્ટાફને કારણે ટ્રાફીકની સમસ્યા વધુ તીવ્ર બની છે. જો કે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીની એક લાઈન સંપુર્ણ પણે તૈયાર થઈ ગઈ છે આ લાઈનને ચાલુ કરવામાં આવે તો ટ્રાફીક હળવો બને. હાલ તો આ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના તૈયાર થયેલા રોડ પર નોકરીયાતો તેઓના ટુ-વ્હિલ વાહનો પાર્ક કરી રહ્યા છે અને રોડ નહી પણ એક પાર્કિંગ કરી રહ્યા છે આ રોડ નહી પણ એક પાર્કિંગ પ્લોટ બની ગયો હોય તેવા દ્રશ્યો નજરે પડયા હતા.
