યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
આજની વ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક-માનસિક તંદુરસ્તી માટે યોગ ખુબ મહત્વપૂર્ણ – જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા
ભરૂચ
તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાગૃહમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરતા કલેકટરએ જણાવ્યું હતું કે, હાલ ૧૦ વર્ષ પૂર્ણ કરી ૧૧મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરફ જઈ રહ્યા છે.
આ વર્ષે યોગની થીમ છે. “યોગ ફોર વન અર્થ વન હેલ્થ”છે. ગુજરાત માટે “સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત”નક્કી કરવામા આવી છે. જેમાં ૨૧ જુન ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જી.એન.એફ.સી. ટાઉનશીપ ખાતે કરવામાં આવનાર છે. વિશ્વ યોગ દિનની સમગ્ર દેશમાં અને વિશ્વમાં ભવ્ય ઉજવણી થવાની છે ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વિશાળ સંખ્યામાં લોકો ઉમંગભેર જોડાશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, પ્રિ-ઇવેન્ટ તરીકે આઇકોનિક સ્થળ પર યોગ કરવામાં આવનાર છે. જેમાં આજરોજ જંબુસરમાં સ્તંભેશ્વર મહાદેવ મંદિર, કાવી ખાતે અને તા.૨૦/૦૬/૨૦૨૫ના રોજ ભરૂચમાં નમો વડવન, શુકલતીર્થ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં આશરે ૧૦૦ જેટલા લોકો સહભાગી થનાર છે.
તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લાના દરેક તાલુકામાં અને નગરપાલિકા કક્ષાએ આંતરાષ્ટ્રીય યોગ દિવસ યોજવામાં આવનાર છે. આ ઉપરાંત બ્રહ્મમાં કુમારી, પતંજલી, આર્ટ ઓફ લીવીંગ,ગાયત્રી પરિવાર, યોગબોર્ડના સાધકો, શૈક્ષણિક સંસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા પોલીસ હેડકવાર્ટર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અંદાજીત એક લાખથી વધુ નાગરિકો ઉજવણીમાં સહભાગી બને તેમ તેમણે જણાવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર જિલ્લામાં યોગ દિનની શાનદાર ઉજવણી માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃકતા વધે એ ઉદ્દેશ્યથી રાજ્યના મુખ્યમંત્રી રાજ્યવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરશે. જિલ્લાની વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓની સહભાગિતા તેમજ આબાલવૃદ્ધ નાગરિકો, સંસ્થાઓ, જાહેર કર્મચારીઓ પણ જોડાય એ પ્રકારનું સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.
અંતે તેમણે કહ્યું, યોગ માત્ર કસરત નથી. આજની વ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક-માનસિક તંદુરસ્તી માટે યોગ ખુબ – મહત્વપૂર્ણ છે. ત્યારે જિલ્લાના તમામ લોકો જોડાય, યોગના દૈનિક જીવનનો ભાગ બનાવવા જાગૃત બને તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ, તથા અમલીકરણ અધીકારીઓ ઉપરાંત વિવિધ યોગ સંસ્થાના પ્રતિનિધિઓ અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
