ભરૂચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. આગામી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ ત્રણ માસ સુધી રાષ્ટ્રવ્યાપી અભિયાન યોજાનાર છે, જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થીઓ સુધી પહોંચાડવાની નેમ સાથે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવનાર છે. જેના આયોજન સંદર્ભે કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અઘ્યક્ષસ્થાને સરકારી બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ તેનો ઉદેશ્ય અને આવરી લેવામાં આવેલી તમામ પ્રવૃત્તિઓની સવિસ્તાર ચર્ચા કરાઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર પણ બેંકો સાથે અભિયાન સ્વરૂપે ખૂંટતી કડીરૂપ કામગીરી કરી વધુમાં વધુ લોકો સુધી તેનો લાભ પહોંચાડી શકે તે સુનિશ્રિત કરશે. આ ઝુંબેશમાં વધુને વધુ લોકો જોડાઈ શકે તેના માટે તાલુકા કક્ષાએ ટીડીઓઓ અને મામલતદારોના સંકલનમાં રહીને અભિયાન અંગેની માહિતી લોકો સુધી પહોચાડવા કલેક્ટરે ખાસ અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરે જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનને સ્વાંત : સુખાયની શ્રેણીમાં મૂકી શકાય તેવી કામગીરી ગણાવી હતી. તેમણે અધિકારીઓને આત્મતૃષ્ટિના ઉદેશ્યથી કામગીરી ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં ભરૂચ જિલ્લાના તમામ ગામોમાં અવેરનેસ અને બેનીફિશિયરી સેચ્યુરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ માટે થયેલા આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જ્યાં બેંકોના પ્રતિનિધીઓ ગ્રામ્યકક્ષાએ પહોચી રિ-કેવાયસી, હજી સુધી બેંકમાં ખાતુ નથી તેમને ખાતુ ખોલાવી આપવામાં આવશે. તેમજ જન સુરક્ષા યોજનાઓ દ્વારા અસુરક્ષિતોને સુરક્ષા પ્રદાન કરવાનું કામ કરશે.
વધુમાં આ અભિયાન હેઠળ અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાનો લાભ લઈ શકશે. તેમજ ડિજિટલ છેતરપીંડીથી બચવાની માહિતી પણ લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાયોજના વહીવટદાર, વિવિધ તાલુકાઓના નોડલ અધિકારીઓ, Lead District Manager અને વિવિધ બ્રાંચના બેંક મેનેજરો અને મામલતદારો અને ટીડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
