વાગરા તાલુકાના ઉદ્યોગો માટે મહત્વ નો બ્રિજ પડવાના વાંકે સંબંધિત તંત્ર ગંભીરા પુલ જેવા ગંભીર અકસ્માત ની રાહ જોઇ રહ્યુ છે….??? પ્રજાને મુંજવતો પ્રશ્ન
ભરૂચ.
વાગરા થી ભરૂચ અવર-જવર અર્થે નિર્માણ કરાયેલ ભૂખી પુલ વર્ષો થી તકલાદી થઈ જવાના કારણે પંથકના લોકોમાં ગંભીર દુર્ઘટના નો ડર ફેલાઇ જવા પામ્યો છે. ખાસ તો ગંભીરા બ્રિજ દુર્ઘટના બનતા લોકો ગભરાટની લાગણી અનુભવી રહ્યા છે. ભૂખી ખાડી પર આવેલ બે બ્રિજમાંથી એક બ્રિજ સમારકામને બહાને ઘણા વર્ષોથી વાહનોની અવર જવર માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફનો ચાલુ બ્રિજ છે તે પણ એકદમ તકલાદી હાલતમાં ફેરવાઇ ગયો છે. બ્રિજ પર મસમોટા ગાબડા પડ્યા છે. તો કેટલીક જગ્યાએ તિરાડો પણ પડી હોવાની વિગતો સાંપડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુલ પર સળિયા સ્પષ્ટપણે બહાર દેખાતા પ્રજામાં તેમજ વાહનચાલકોમાં પુલ ઉપરથી પસાર થવામાં એક પ્રકાર નો ભય સતાવી રહ્યો છે.વાહનચાલકો તેમજ પંથક ની જનતા દ્વારા સદર પુલ નું નવ નિર્માણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.વાગરા તાલુકા માં આવેલ સાયખા, વિલાયત તેમજ પખાજણ ખાતે અનેક નાના મોટા ઉદ્યોગો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં કાચા માલ તેમજ તૈયાર માલ ઉપરાંત ઉદ્યોગોને જરૂરી માલસામગ્રી લાવવા લઈ જવા માટે અનેક નાના-મોટા તેમજ ભારેખમ વજનદાર વાહનો ભરૂચથી વાયા દેરોલ થઈ વિલાયત અને વાગરા તરફ પ્રયાણ કરતા હોય છે.જયાં દેરોલ-વિલાયત ની વચ્ચે થી પસાર થતી ભૂખી ખાડી પર પુલ આવેલ છે.અપ અને ડાઉન બંને તરફ એક એક બ્રિજ આવેલ છે.જેમાંથી એક પુલ તકલાદી તેમજ ભંગાર થઈ જતા રિપેરિંગ ના બહાને તેને ઘણા વર્ષો થી બંધ કરી દેવામાં આવ્યો છે.જે પુલ નું ઘણા સમય થી કોઈ પણ જાતનું રિપેરિંગ પણ કરવામાં આવ્યુ નથી.જેથી બીજા પુલ ઉપર થી વાહન ચાલકો આવ જા કરતા હોય છે. ઉક્ત પુલ ઉપર થી નાના મોટા તેમજ ભારેખમ વજનદાર વાહનો પસાર થવાથી પુલ ઉપર સળિયાઓ બહાર આવી ગયા છે. પુલ ઉપર થી અનેક વાહનો પસાર થતા હોઇ પુલ માં ધ્રૂજારી પણ લાગતા વાહનચાલકો ને પુલ તૂટે તેવી દહેશત લાગી રહી છે.વધુમાં વિલાયત થી દેરોલ જતાં માર્ગ પર અસંખ્ય મસમોટા ખાડાઓએ સામ્રાજ્ય જમાવતા વાહન ચાલકો ખાડાઓથી બચવા માટે આમ તેમ વાહન હંકારતા વાહન ચાલકોમા તું તું મૈં મૈં તેમજ મારામારીના બનાવો રોજ બરોજ બની રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આળસ ખંખેરી રોડ તેમજ પુલ નું રિપેરિંગ કે નવનિર્માણ કાર્ય કરાવે તેવી માંગણી પંથક ની જનતા તેમજ ઉદ્યોગકારો માંથી બુલંદ થવા પામી છે.શુ સંબંધિત તંત્ર ગંભીરા પુલ જેવા ગંભીર અકસ્માત ની રાહ જોઇ રહ્યુ છે….??? કે પછી જ્યારે કોઈક નો ભોગ લેવાય ત્યાર બાદ જ આળસ ખંખેરી કામગીરી શરૂ કરશે ….??? જેવા અનેક પ્રશ્નો પ્રજામાં ઉઠવા પામ્યા છે.
