ભરૂચ
જંબુસર ના નોબાર ગામમાં આવેલા વાડી વિસ્તારમાં એક મકાનમાં ગત રાત્રીએ પરિવાર સુતો હતો. તે વેળાં તસ્કરોએ ધાપ મારી હતી. તસ્કરોએ ઘરના પાછળના ભાગે આવેલી બારીના સળિયા કોઇ સાધન વડે કાપી ઘરમાં પ્રવેશી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 1.72 લાખની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં.

જંબુસર તાલુકાના નોબાર ગામે વાડી વિસ્તારમાં રહેતાં સમસુદ્દીન મહમુદ સિંધા ખેેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મુસ્તાક કંપનીમાં નોકરી કરતો હોઇ તે નાઇટ શિફ્ટમાં ગયો હતો. ઘરના પરિવારજનોએ રાત્રે ઘરને બંધ કરી આગળના રૂમમાં સુઇ ગયાં હતાં. દરમિયાનમાં સવારે પાંચ વાગ્યાના અરસામાં તેમની પુત્રવધુ ઉઠતાં તેણે બીજા રૂમમાં જઇને જોતાં ઘરમાં સામાન વેરવિખેર પડેલો જોતાં બુમરાણ મચાવતાં ઘરના તમામ સભ્યો જાગી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં તસ્કરોએ ઘરમાંથી સોના-ચાંદીના ાગીના તેમજ 15 હજાર રૂપિયા રોકડા સહિત કુલ 1.72 લાખની ચોરી કરી ગયાં હતાં. તસ્કરો ઘરમાં કેવી રીતે પ્રવેશ્યાં તે તપાસતા માલુમ પડ્યું હતું કે, ઘરના પાછળના ભાગે આવેલી બારીના સળિયા કોઇ સાધન વડે કાપી તસ્કરોએ ઘરમાં પ્રવેશી ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. બનાવની જાણ કરતાં જંબુસર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી તસ્કરોના પગેરૂ મેળવવાની કોશિષ કરતાં ગામની સીમમાં એક ખેતર પાસે ઘરમાંથી ચોરેલાં સામાન થેલી, કાગળો સહિતની વસ્તુઓ પડેલી મળી આવી હતી. પોલીસે ઘટનાને પગલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
