૧૦ જુલાઈએ ભરૂચ કોર્ટમાં જામીન અરજી મુકી હતી
ભરૂચ
ભરૂચ જિલ્લાના આમોદ, હાંસોટ અને જંબુસર તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કામોમાં 7.30 કરોડના કૌભાંડમાં જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત 6 જણાની પોલીસે ધરપકડ કરી હતી. તેમના રિમાન્ડ પુરા થતા તેમને સબજેલમાં ધકેલી દેવાયા હતા. દરમ્યાનમાં હીરા જોટવા અને તેમનો પુત્ર દિગ્વિજયે કોર્ટમાં જામીન અરજી મુકી હતી. ગુરૂવારે કોર્ટે જામીન અરજીના મામલે ચુકાદો આપતા તેમના જામીન નામંજૂર કર્યા છે.
દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોની સંડોવણીના કારસા બાદ ભરૂચ જિલ્લામાં પ્રકાશમાં આવેલા મનરંગા કૌભાંડમાં જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજયની સંડોવણી સામે આવી હતી. વેરાવળની બે એજન્સીઓના નામે પિતા-પુત્ર દ્વારા મનરેગાના કામોમાં 60-40 નો રેશિયો જાળવ્યા વિના અને કેટલાક કિસ્સામાં કામ કર્યા વિના જ બીલો બનાવીને રૂપિયાની ખાયકી કરી હતી જેની તપાસમાં તેઓએ ૭.૩૦ કરોડની વધુનુ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યુ હતુ. ભરૂચ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કૌભાંડની ફરિયાદ નોંધાતા પોલીસે પહેલા હીરા જોટવા તેમજ હાંસોટ તાલુકા પંચાયત કચેરીના ટેકનીશીયન રાજેશ ટેલરની ધરપકડ કરી હતી જે બાદ હીરા જોટવાના પુત્ર દિગ્વિજય તથા મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર પિયુષ નુકાની અને જોધા સભાડ તથા સરમન સોલંકીની ધરપકડ કરી હતી. તમામ 6 આરોપીઓના રિમાન્ડ પુર્ણ થતા તેમને ભરૂચ સબજેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અરસામાં ગત ૧૦ મી જુલાઈએ હીરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજયએ ભરૂચ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી થયા બાદ ગુરૂવારે કોર્ટે તેનો ચુકાદો આપતા બન્નેના જામીન નામંજૂર રાખ્યા હતા.
૮ જણાના ૧૬૪ કલમ હેઠળ નિવેદનો લેવાયા મનરેગા કૌભાંડની તપાસ હજી ચાલી રહી છે ત્યારે પોલીસે હાંસોટ, જંબુસર અને આમોદ તાલુકાના ટીડીઓ સહિતનાઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ ૮ જણાના ૧૬૪ કલમ હેઠળ કોર્ટમાં મેજીસ્ટ્રેટ સમક્ષ નિવેદનો લેવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં અન્ય આરોપીઓને સંકજામાં લેવા માટેના તમામ પુરાવા એકત્ર કરવામાં પોલીસ હાલ જોતરાઈ છે.
