ભરૂચ.
ભરૂચ શહેરના નંદેલાવ ચોકડી પાસે આવેલી મંગલતીર્થ સોસાયટીમાં એક સાહુડી દેખાતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. તેમણે તુરંત પશુપ્રેમીઓને ફોન કરતાં ટીમે સ્થળ પર દોડી આવી તેને પકડી સલામત રીતે સુરક્ષિત સ્થળે ખસેડી હતી.
ભરૂચ શહેરમાં આવેલાં નંદેલાવ ચોકડી પાસેની મંગલતીર્થ સોસાયટીમાં અચાનક એક સાહુડી આવી જતાં રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાનમાં તેમણે નેશનલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરતાં ટ્રસ્ટની વન્યજીવ રેસ્ક્યુ ટીમના સભ્યો યોગેશ મિસ્ત્રી, હિરેન શાહ તેમજ ધવલ સહિતનાઓએ તુરંત સ્થળ પર દોડી આવી ટીમે સાહુડીને ઝડપી પાડી હતી. જે બાદ તેઓએ સાહુડીને કોઇપણ પ્રકારની ઇજા પહોંચાડ્યાં વિના સલામત રીતે તેને કુદરતી સાનિધ્યમાં સુરક્ષિત રીતે છોડી મુકી હતી.
