આમોદ તાલુકાના કેરવાડા ગામે બનેલી ઘટના
ભરૂચ.
આમોદ તાલુકાના કેરવાડા ગામે રહેતાં એક શખ્સના પુત્રએ પ્રેમલગ્ન કરી લીધાં બાદ તેની પત્ની સાથે ઘરે આવતાં યુવતિના સગાસંબંધીઓએ તેમના ઘરે આવી ધમાલ મચાવી હતી. તેઓએ પરિવારજનોને માર મારી ઇજાઓ પહોંચાડતાં શખ્સને લાગી આવતાં ઝેરી દવા પી જતાં તેમની હાલત લથડી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
આમોદ તાલુકામાં આવેલાં કેરવડા ગામે રહેતાં નરેન્દ્રસિંહ હિંમતસિંહ સોલંકીના પુત્ર ધર્મેન્દ્રસિંહે ત્રણેક મહિના પહેલાં ઝઘડિયા તાલુકામાં આવેલાં નાના સાંજા ગામે રહેતાં નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ રાજની પુત્રી તનીષા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. દરમિયાનમાં 17મી જૂલાઇએ તેઓ બન્ને ઘરે આવ્યાં હતાં. દરમિયાનમાં તનિષાના મામા કનકસિંહ પ્રવિણસિંહ પરમાર, વિક્રમસિંહ ભારતસિંહ પરમાર, સુરેશસિંહ ભારતસિંહ પરમાર તેમજ દિવ્યજીતસિંહ સુરેશસિંહ પરમાર (તમામ રહે. કેરવાડા) ઓચિંતાા તેમના ઘરે આવી પહોંચ્યાં હતાં. તેઓએ ત્યાં આવી તમે અમારી ભાણીને તમારા ઘેર કેમ લાવ્યાં છો તેમ કહેતાં તેમણે તેઓને સમજાવ્યાં હતાં કે, ધર્મેન્દ્રએ તનીષા સાથે પોતાની જાતે પ્રેમ લગ્ન કરેલાં છે અમે ધર્મેન્દ્રને પ્રેમલગ્ન કરવાનું નથી કહ્યું. અમે હજી પણ ધર્મેન્દ્રને સમજાવીશું પણ તમારી ભાણી માનથી નથી. તમે બધા ધીરજ રાખો અમે મનીશા અને ધર્મેન્દ્ર બન્નેને સમજાવીશું. જોકે, તેઓએ તેમની સાથે ઝઘડો કરી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ તેમના પુત્ર ધર્મેશ તેમજ તનીષાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. તેમજ તેમને અપશબ્દો ઉચ્ચારી ધમાલ કરતાં હોઇ તેમને લાગી આવતાં તેમણે આવેશમાં આવી જઇ ઘરમાં પડેલી કપાસમાં છાંટવાની દવા પી લેતાં તેમની હાલત ગંભીર બની હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
