મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ વે પરના વાહનો શહેરમાં આવતાં ટ્રાફિકની સમસ્યા વકરી
દહેજ-વાગરા જીઆઇડીસીની કંપનીઓના વાહનોને કારણે પિકઅવર્સમાં ભારે ચક્કાજામ
ભરૂચ.
ભરૂચ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. એક્સપ્રેસ વે પરથી આવતાં વાહનો તેમજ દહેજ-વાગરા જીઆઇડીસીના વાહનોને કારણે પિક અવર્સમાં બેથી ત્રણ કિમી સુધી ચક્કાજામ થતો હોવાની વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે
ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ માજા મુકી છે. શહેરના મુખ્ય માર્ગો પર પિકઅવર્સમાં રોડ પર વાહનોની લાંબી કતારો લાગી જતી હોય છે. અડધો કિમીનો રસ્તો પસાર કરવા માટે અડધો કલાકથી વધુંનો સમય લાગી જાય છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડીથી એબીસી ચોકડી સુધીના બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે ખરાબ રસ્તાના કારણે વાહનો એક તરફ ધીમી ગતીએ ચાલતાં હોય છે.ત્યારે બીજી તરફ દહેજ-વાગરાની જીઆઇડીસીઓમાં આવેલી કંપનીઓના કર્મચારીઓને લાવતી લઇ જતી બસો સહિતના વાહનો એક સાથે જ છુટતાં હોવાને કારણે ટ્રાફિક અનહદ વધી જાય છે. તેમાંય યુટર્નના સ્થળે વાહન ચાલકો તેમના વાહન વળાવતાં હોવાથી ગતિ ધીમી થવાને કારણે ટ્રાફિક વધુ વકરતો હોય છે. ભરૂચ શહેરમાં પણ સાંજના સમયે કસક ગરનાળા પર તેમજ અન્ય મુખ્ય માર્ગો પર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે.
————-
બોક્ષ
એકસપ્રેસ વેના કારણે શહેરમાં ટ્રાફિક વકરી
દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પરથી પસાર થતાં વાહનો પૈકીના સુરત જિલ્લાના કેટલાંક વાહનો દહેગામ થઇને ભરૂચ શહેરમાં પ્રવેશે છે. અને બાદમાં ઝાડેશ્વર ચોકડી થઇને નેશનલ હાઇવે પર જતાં હોય છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે. સાંજના સમયે રેલવે સ્ટેશનથી પાંચબત્તી સુધીના 2 કિમીના માર્ગ પર ટ્રાફિકજામ થતો હોય છે.
————
બોક્ષ
ટ્રાફિકના નિવારણ માટે 40થી વધુ લારીઓ ડિટેઇન કરાઇ
ભરૂચ શહેરમાં વધી ગયેલાં ટ્રાફિકને લઇને શહેરના સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, લિંકરોડ સહિતના વિસ્તારમાં ઉભા રહેતાં લારીધારકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. રસ્તા પર આડધા રસ્તે ઉભતાં હોય છે જેના કારણે પોલીસે રોડ પર અડચણરૂપ ઉભા રહેતાં 40થી વધુ લારી સંચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
————-
બોક્ષ:
પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ
લારી સંચાલકોએ જણાવ્યું હતું કે, ભરૂચ શહેરમાં ટ્રાફિક સર્જાવાનું કારણ સામાન્યત: શહેરના ખરાબ રસ્તા તેમજ એક્સપ્રેસ વેના વાહનો સ્થાનિક વાહનોની સંખ્યા વધી જવાને કારણે થતું હોય છે. ત્યારે તે સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે પોલીસ દ્વારા દર વખતે લારી સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ છે.
