ગ્રામ પંચાયતના સત્તાધિશોને હાલમાં મતદારો કરતાં બિલ્ડરોમાં વધારે મહત્વાના છે
ભરૂચ.
ભોલાવની નારાયણ દર્શન, નારાયણ એવન્યુ અને સુર્યદર્શન સોસાયટીના રહિશોએ ગ્રામ પંચાયત દ્વારા સેલીબ્રેશન એપાર્ટમેન્ટ તેમજ સમૃદ્ધી એપાર્ટમેન્ટના ડ્રેનેજ-ગટર લાઈનનું જોડાણ તેમની સોસાયટીની લાઈનમાં કરવાની કવાયત હાથ ધરતાં તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ચૂંટણી વેળાં મત માંગવા આવતાં લોકો તેમની સમસ્યા દૂર કરતાં નથી. અને બિલ્ડરો માટે કામ કરે છે તેઓ આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
ભોલાવ ગામ પંચાયત વિસ્તારમાં આવેલી નારાયણ દર્શન, નારાયણ એવન્યૂ તેમજ સુર્યદર્શન સોસાયટીની ગટર લાઈનમાં નજીકમાં આવેલાં સેલીબ્રેશન એપાર્ટમેન્ટ અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટની ગટર લાઈનનું જોડાણ કરવાની કવાયત પંચાયત દ્વારા શરુ કરાઈ હતી. જોકે, ત્રણેય સોસાયટીના તમામ રહીશોએ તેનો સખત વિરોધ દર્શાવ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા પહેલાં આ કામની પેરવીમાં હતાં ત્યારે જ સ્થાનિકોએ તે બાબતનો વિરોધ વ્યક્ત કરી લેખિતમાં રજૂઆતો કરી હતી. તેમ છતાં શુક્રવારે તેમની સોસાયટીના ડ્રેનેજ લાઈનમાં જોઈન આપવા માટેની કામગીરી શરુ કરતાં રહિશો ઉશ્કેરાયા હતાં. અને ભોલાવ ગામ પંચાયતના શાસકોનો હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા કે, પહેલાં જ તેમના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે. ત્યાં અન્ય બે એપાર્ટમેન્ટના જોડાણ આપવામાં આવતાં સ્થિતી વધુ વિકટ બનશે.
પહેલાં પરમિશન આપી હવે સોસાયટીમાં રૂપિયા જમા કરવાનું કહે છે સોસાયટીઓવાળાનો જે વિરોધ છે તે સદંતર ખોટો છે. ભોલાવ ગામ પંચાયતને તમામ સોસાયટીના વિકાસની સત્તા હોય છે, દરેક કામમાં સરપંચની સત્તાના આધારે તમામ સુવિધા મળે તેવા પ્રયત્ન હોય છે. પંચાયત દ્વારા આ સોસાયટીઓમાં વિકાસના કામો થયા છે. ગટર જોડાણ માટે સોસાયટી પાસે પહેલાં મંજૂરી મેળવી હતી. જોકે, હવે તેઓ જોડાયા કરવું હોય તો સોસાયટીમાં રૂપિયા જમા કરો તેમ કહે છે. જેને અમે વખોડી કાઢીએ છીએ. યુવરાજસિહ પરમાર, ડે. સરપંચ, ભોલાવ,
ચોમાસામાં પાણી ભરાશે, અમે કોઈ સંજોગોમાં જોડાણ નહીં આપીએ અમારી સોસાયટીઓમાં વર્ષોથી ગટરની સમસ્યા છે. અનેક રજૂઆતો કરી હોવા છતાં ગ્રામ પંચાયતનો કોઈ સભ્ય પણ આવતો નથી. ચૂંટણીમાં વોટ લેવા આવે છે. પછી અમારી તકલીફ દેખાની નથી. આ જોડાણ અપાશે તો અમારી સોસાયટીમાં ગટરના પાણી ભરાશે, રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ, સામાન્ય દિવસોમાં પણ કોઈ દિવસ પંચાયતમાંથી દવા છંટકાવ માટે કોઈ આવતું નથી. અમે કોઈ પણ સંજોગોમાં ગટરલાઈનમાં જોડાણ નહીં આપીએ. ગીતાબેન, રહીશ, નારાયણ દર્શન-2.
છેલ્લા દોઢ વર્ષથી લડત આપીએ છીએ, પંચાયત મનમાની કરે છે અમારી સોસાયટીની માલિકીના રોડ પર પંચાયત દ્વારા મનસ્વી રીતે ગટરનું કામ ચાલું કરવામાં આપ્યું છે. સેલીબ્રેટી એપાર્ટમેન્ટ અને સમૃદ્ધી એપાર્ટમેન્ટના જોડાણ માટે રેમી કોલોનીમાં વ્યવસ્થા હતી છતાં પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમે છેલ્લા દોઢ વર્ષથી આનો વિરોધ કરી રહ્યાં છીએ લેખિતમાં પણ અમે આપ્યું છે. જોકે, ગ્રામ પંચાયતમાં બેઠેલાઓને હવે વોટરોની નહીં પણ બિલ્ડરોની પડેલી છે. રીતેશ રાઠોડ, પ્રમુખ, નારાયણ એવન્યુ, ભોલાવ
