સત્તાપક્ષે રાષ્ટ્રગીતની આડમાં રણ છોડયું :
શહેરના આઈકોનિક રોડની ડેકોરેટીવ લાઈટ, વોર્ડ ન. 6 ના હાઈમાસ્ટના કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ
। ભરૂચ ।
ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ગુરૂવારે સવારે ૧૧:૩૦ વાગ્યે પાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભુતીબા યાદવની અધ્યક્ષતામાં યોજાનારી સામાન્ય સભાના પારંભમાં જ વિપક્ષ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નોને લઈને સામાન્ય સભામાં ચર્ચા કરવા માટે પત્ર આપ્યો હતો જેમાં ઉગ્ર દલીલો બાદ આખરે સામાન્ય સભાના અંતમાં આ મુદ્દે ચર્ચા કરવાની બાંહેધરી આપી હતી. જે બાદ સામાન્ય સભા શરૂ થઈ હતી. જેમાં ૨૯ જેટલાં મુદ્દાઓ પર ચર્ચા થનાર હતી. જેમાં વિપક્ષના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ખાતે લોકોની ધાર્મિક લાગણી દુભાય એટલી હદ સુધી ગંદગી હોવાનું જણાવી ત્યા સ્વચ્છતા અને સફાઈ માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી.
બેઠક વેળાં વિવિધ પ્રશ્નોની ચર્ચા દરમિયાનમાં શહેરના આઈકોનિક રોડ પર લગાવાયેલી ડેકોરેટીવ લાઈટો તેમજ વોર્ડ નં. ૬ના હાઈમાસ્ટના કામમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિપક્ષે સામાન્ય સભાને માથે લીધી હતી. વોર્ડ નં. ૯માં ૧૨ મીટરના 6 હાઈમાસ્ટ લગાવવાના હતાં. જેની એકની કિંમત અંદાજે ૧.૨૦ લાખની છે. જેના બદલે માત્ર ૧૦ મીટરના હાઈમાસ્ટ લગાવવામાં આવ્યાં છે. જેની ૭૦થી ૮૦ હજારના હોય છે. ત્યારે તેમાં કોન્ટ્રાક્ટર ભષ્ટાચાર કર્યો છે. જેમાં SIT દ્વારા ખાસ તપાસ કરવામાં આવે તેવી માગ કરતાં પક્ષ અને વિપક્ષે એક-બીજા પર ભ્રષ્ટાચારના માછલા ધોવાનું શરુ કરતાં મામલો ગમરાયો હતો. જોકે, સત્તાપક્ષે દર સામાન્ય સભાની જેમ બહુમતીના જોરે તમામ એજન્ડાઓ પર બહુમતીની મહોર લાગવી દીધી હતી. એક તરફ વિપક્ષ દ્વારા સત્તાપક્ષ પાસે વિવિધ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યાં સત્તાપક્ષે તુરંત જન ગણ મન ગાવાનું શરૂ કરી દીધું હતું વિપક્ષ હજી તેમના ચર્ચાના મુદ્દા બાકી છે તેમ કહેતું રહી ગયું ને સત્તાપક્ષે ત્યાંથી પલાયન નિતી અપનાવી લીધી હતી.
સત્તાધારીઓ રાષ્ટ્રગીતની આડમાં સભામાંથી ભાગી ગયાં । ભરૂચ । અમે કેટલાંક મુદ્દા ચર્ચામાં લેવા માટે પ્રમુખને જણાવતાં તેમણે પહેલાં સામાન્ય સભામાં ચર્ચા કરવાની બાંહેધરી આપી હતી. સામાન્યસભાના એજન્ડાઓની ચર્ચા દરમિયાનમાં અમારા મુદ્દાઓની ચર્ચા કરવાની શરૂઆત કરતાં પાલિકામાં કેટલાંક કામોમાં થયેલાં ભ્રષ્ટાચારની વાત કરતાં અચાનક સત્તાપક્ષે સામાન્ય સભા પુરી કરવાનો ઢંઢેરો કરી તુરંત જ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કરી દીધું હતું. સત્તામાં રહેલી ભાજપ પોતાને એક તરફ સંસ્કારી અને રાષ્ટ્રવાદી પાર્ટી કહે છે ત્યારે રાષ્ટ્રગીતનું આ રીતે અપમાન કરવું કેટલું યોગ્ય છે.-સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય.
અમે ૨૫૮ હેઠળ આસીએમમાં ફરિયાદ કરીશું । ભરૂચ । છેલ્લા ૩૦ વર્ષથી ભરૂચ નગર પાલિકામાં શાસન ચલાવનારા ભાજપનું સત્તાપક્ષ ભ્રષ્ટાચારના મુદ્દે કોઈ ચર્ચા કરવા માંગતું નથી. છેલ્લા દશેક વર્ષથી પાંચબત્તી પાસેના રંગઉપવનના વિકાસનો મુદ્દો એજન્ડામાં લેવાય છે. પણ કામગીરી થતી નથી. આજે પણ અમે જ્યારે પ્રજાના રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું હોવાની વાત કરતાં સત્તા પક્ષે રાષ્ટ્રગીતની આડમાં સમાન્યસભામાંથી તેઓ ભાગી ગયાં હતાં. જોકે આ મામલાને ગંભીરતાને લઈને અમે આરસીએમ. રિજીયોનલ કમિશ્નર સમક્ષ ૨૫૮ હેઠળ ફરિયાદ કરીશું, અને મનરેગાની જેમ પાલિકામાં ચાલતો આવા કૌભાંડોની તપાસ કરાવીશું.-સમસાદ અલી સૈયદ, વિપક્ષ નેતા.
ચુંટણી આવે છે એટલે ખોટા આક્ષેપ કરે છે । ભરૂચ ! ચૂંટણીઓ હવે થોડા સમય બાદ આવવાની છે ત્યારે સત્તાપક્ષને બદનામ કરવા માટે ખોટા આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આઈકોનિક રોડની લાઈટો તેમજ હાઈમાસ્ટમાં ગેરરીતિ થઈ હોવાનું અમારા ધ્યાનમાં આવતાં અમે તેની સામે કાર્યવાહી કરી છે.બીજા કામમાં પણ જો કોઈ ગેરરીતિ જણાશે તો અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે. -વિભૂતિબા યાદવ, પ્રમુખ, નગરપાલિકા, ભરૂચ.
સફાઈ કરવા કહ્યુ તો સેનેટરી ઈન્સપેક્ટર કહે છે તમે પાકિસ્તાનના છો । ભરૂચ અમારા વોર્ડમાં સેનેટરી ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતાં અરવિંદભાઈ રાઠોડને ૧૪મી મેના રોજ અમારા વોર્ડના એક રહિશે ફોન કરી જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં કચરાની સમસ્યા છે તો તે સાફ કરાવાને બદલે અરવિંદભાઈએ તેમને તમે ભારતના નથી પાકિસ્તાનના છો તેમ કહી દીધું હતું. આ ગંભીર બાબતને લઈને બીજા જ દિવસે અમે પાલિકામાં સંલગ્ન અધિકારી-પદાધિકારીને રજૂઆત કરી હતી. જોકે, તેમના પર હજી કોઈ કાર્યવાહી થઈ નથી. અમે આજે બોર્ડ મિટિંગમાં પણ રજૂઆત કરી હતી કે, સેનેટરી ઈન્સ્પેક્ટરને અમારા વોર્ડમાંથી તાત્કાલિક કાઢી નાંખો, પણ કોઈ કાર્યવાહી થતી નથી. - સાદિકા સાહનવાઝ શેખ, કોર્પોરેટર, વોર્ડ નં. ૧૦
