ભરૂચ: શહેરના “એ” ડિવીઝન પોલીસ મથકે “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત વિવિધ ગુનાઓમાં ચોરાયેલા કિંમતી દાગીના તેમજ CEIR પોર્ટલની મદદથી શોધાયેલા ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
આ અભિયાન ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ અને “એ” ડિવીઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. એમ.એમ. રાઠોડના નેતૃત્વમાં અમલમાં લાવવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા કુલ ₹3,92,770 ની કિંમતનો મુદ્દામાલ પીડિત નાગરિકોને વિતરણ કરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબનો મુદ્દામાલ સામેલ છે:
29.970 ગ્રામ સોનાની ચેઇન – કિંમત ₹2,58,130
10.770 ગ્રામ પેન્ડલ સાથેની સોનાની ચેઇન – કિંમત ₹92,160
ત્રણ સોનાની વીટી (કુલ 1.870 ગ્રામ) – કિંમત ₹11,580
બે સોનાના પેન્ડલ (કુલ 1.850 ગ્રામ) – કિંમત ₹11,900
રોકડ રકમ – ₹19,000
આ અભિયાનનો મુખ્ય હેતુ ગુનાના કેસોમાં પકડાયેલ મુદ્દામાલ કોર્ટ પ્રક્રિયા બાદ તાત્કાલિક તેમના અસલ માલિકો સુધી પહોંચાડવાનો છે.
ભરૂચ પોલીસે દાખવેલી આ કામગીરીથી પીડિત નાગરિકોને ન્યાય મળ્યો છે અને પોલીસ વિભાગ પ્રત્યે સમાજમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
