ભરૂચ.
વાલિયા તાલુકાના ગુંદિયા ગામના અને હાલમાં વાલિયાની ગ્રીનવીલા સોસાયટી ખાતે રહેતાં મધુબેન તેમજ તેમના પતિ બહાદૂર ગુરાભાઇ ચૌધરી તેમની બાઇક પર મોતીપુરા ગામે તેમના બહેનના ત્યાં ગયાં હતાં. જ્યાંથી તેઓ બપોરના બારેક વાગ્યે પરતે કરે જવા માટે નિકળતાં તેઓ મોતીપુરાથી પત્થરિયા ગામ થઇને વાલિયા તરફ જઇ રહ્યાં હતાં. તે વેળાં જબુગામ તરફ આવતાં તેમની બાઇકને વાલિયા તરફથી ધસી આવતાં એક ટ્રક ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતાં બન્ને રોડ પર ફંગોળાઇ ગયાં હતાં. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવતાં તેમણે ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે વાલિયા સરકારી દવાખાને લઇ ગયાં હતાં. જ્યાંથી તેમને વધુ સારવાર માટે અંક્લેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બીજી તરફ જબુગામના લોકોએ ટ્રક અને તેના ચાલકને રોકી રાખ્યાં હતાં. બનાવને પગલે વાલિયા પોલીસે તેમની ફરિયાદ લેતાં તેમણે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
