જગતનો તાત હરખાયો
ભાડભૂત બેરેજ યોજનામાં જમીન સંપાદનનું વળતર વધશે : ખેડૂતોને ફાયદો
ખેડૂતોની સારા વળતર માટેની ચાલી રહેલી લડતનું સુખદ પરિણામ
સંપાદનની પ્રક્રિયા ક્ષતિગ્રસ્ત હોવાનું હાઈકોર્ટે ટાંક્યુ
નવેસરથી જમીન સંપાદનની પ્રક્રિયા કરવા હાઈકોર્ટનો હુકમ
।ભરૂચ।
ભાડભૂત બેરેજ યોજનાના ડાબા કાંઠા પુર સંરક્ષણમાં થતી જમીન સંપાદનની પ્રક્રિયામાં ખેડૂતોને ઓછુ વળતર એટલે કે ૧ ફુટ જમીનના ૪૮ પૈસાથી ૭૫ પૈસા જેવી નજીવી કિંમત આપવામાં આવી હતી જેના વિરોધમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જમીન સંપાદનની પ્રક્રિયામાં ભૂલ હોવાના આક્ષેપો સહિત ખેડૂતોનુ નક્કી કરાયેલ વળતર ખેડૂતોની મશ્કરી કરાઈ હોય તેવુ હોવાના કારણે આર્ટીકલ ૬૪ હેઠળ ખેડૂતોએ સુરત ખાતે પ્રિસાઈડીંગ ઓફીસર સમક્ષ ઘા કર્યા હતા. તેમજ જમીન સંપાદનની પ્રક્રિયા ખોટી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો હાઈકોર્ટમાં ગયા હતા દરમ્યાનમાં ખેડૂતોને હવે સારૂ વળતર મળે તેવા આસાર દેખાઈ રહ્યા છે. કોર્ટમાં ખેડૂતો તરફે હુકમ આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે જેમાં ખેડૂતોને નવી જંત્રી સહિત બજાર ભાવ પ્રમાણે તેમને હવે જમીન સંપાદનનું વળતર મળે તેવી શકયતાઓ વર્તાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોજેકટો પૈકીના ભાડભૂત બેરેજ યોજના છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સંપડાયેલી છે. જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. જેમાં જમીન સંપાદન, પુન: સંપાદન તેમજ પુન:વસનમાં ખેડૂતોને વ્યાજબી વળતર અને પારદર્શિતાના અધિકાર, અધિનિયમ(૨૦૧૩ નો ૩૦મો) ગુજરાત બીલ નંબર ૨૦૧૬ ની કલમ ૨૩ મુજબ જાહેર કરવામાં આવેલા એવોર્ડને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. એક ફૂટ જમીનની કિંમત ૪૮ થી ૭૫ પૈસા એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો જેના પગલે ખેડૂતોએ જમીન સંપાદનના જાહેરનામાંના વિરોધમાં કોર્ટમાં ઘા કર્યા હતા અને જમીન સંપાદનની પ્રક્રિયા ક્ષતિગ્રસ્ત હોવાના આક્ષેપ કર્યા હતા.
ખેડૂતો માટે જમીન સંપાદનને લઈને હાલમાં સારા સમાચાર મળે તેવી શકયતાઓ દેખાઈ રહી છે. હાઈકોર્ટ દ્વારા જમીન સંપાદનની જુની પ્રક્રિયાને રદ કરી નવેસરથી પ્રક્રિયા શરૂ કરી ખેડૂતોને નવી જંત્રી અને હાલના બજાર ભાવ પ્રમાણે વળતર ચુકવવામાં આવે તેવી તાકિદ કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે. નોંધનીય છે કે, જમીન સંપાદનની પ્રક્રિયા ૨૦૨૦ થી ચાલી રહી હતી જેમાં જે તે સમયે ૨૦૧૮-૧૯ ના ભાવ પ્રમાણે એવોર્ડ કરવામાં આવ્યા હતા જો કે કોર્ટના આદેશ બાદ જુની તમામ પ્રક્રિયા રદ થઈ જવાના કારણે એવોર્ડ પણ રદ થઈ જતા હોય હવે ખેડૂતોને બજાર ભાવ મુજબ જમીનનું સારૂ વળતર મળે તેવા આસાર દેખાઈ રહ્યા છે.
બોક્ષ
જમીન માફીયાઓના ભોગે ઈમાનદાર જમીન માલિકો સાથે અન્યાય નહીં થાય ભાડભૂત બેરેજ યોજના અમલમાં આવે તે પહેલા જ કેટલાક ભૂમાફિયાઓએ જમીન સંપાદનની જાણ થઈ જતા ખેડૂતો પાસેથી નર્મદા નદીમાં ડૂબાણમાં ગયેલી જમીનો નજીવી કિંમતે ખરીદી લીધી હતી. જેથી કે જમીન સંપાદનમાં તેમને જમીન ડૂબી ગઈ હોવા છતાં તેનું પુરેપુરૂ વળતર મળે. ભૂમાફિયાઓએ મોટી રકમ કમાવવા રચેલા આ ષડયંત્રને લઈને પણ વહીવટી તંત્ર જાગૃત હોય ભૂમાફિયાઓના ભોગે મુળ જમીન માલિકોને નુકશાન ન જાય તેવી તકેદારી રખાય તેવી શકયતાઓ છે.
ભાડભૂત પ્રોજેકટની પુર્ણતાને વેગ મળશે ભાડભૂત બેરેજ યોજનામા જમીન સંપાદનને લઈને લાંબા સમયથી ખેડૂતો અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા સંપાદિત થનાર જમીનનું જે વળતર ચુકવવામાં આવનાર હતુ તે ખેડૂતોને પોષણક્ષમ્ય ન હોય તેઓએ તેનો વિરોધ કરવા સાથે અદાલતના પણ દરવાજા ખખડાવ્યા છે.આવા સંજોગોમાં જયારે નવી જંત્રી અને માર્કેટ રેટ પ્રમાણે નવેસરથી વળતર નક્કી કરવામાં આવનાર છે ત્યારે જમીન સંપાદન બાદ ભાડભૂત બેરેજ યોજનાની કામગીરીને વેગ મળશે અને વહેલી પુર્ણ થશે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.
વર્ષ ૨૦૨૨-૨૩ ની સંપાદનની પ્રક્રિયામાં ભૂલ હોવાનું કોર્ટે નોંધ્યુ ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનારા ખેડૂતોએ જમીન સંપાદનમાં વહીવટી તંત્ર દ્વારા તેમને વળતર રૂપે તેમની જમીનની અત્યંત મામુલી કિંમત ચૂકવવાની જાહેરાત કરી હોવાથી હાઈકોર્ટમાં ઘા કર્યા હતા. કોર્ટે જયાં સુધી જમીન સંપાદન કરવા મુદ્દે કોઈ ચોક્કસ ચુકાદો ન આવે ત્યાં સુધી સ્ટે મુકવામાં આવ્યો હતો. કોર્ટમાં બંન્ને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે નોંધ્યુ હતુ કે, વર્ષ ૨૦૨૨-૨૩ ની જમીન સંપાદનની પ્રક્રિયામાં તેની જાહેર નિવિદાની જાહેરાતથી લઈને અન્ય પ્રક્રિયાઓમાં ક્ષતિ જણાઈ હતી જેને લઈને કોર્ટે તે તમામ પ્રક્રિયાઓને રદ કરવાનો હુકમ કરી નવેસરથી પ્રક્રિયા કરવા સુચના આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.
