ભરૂચની સિદ્ધીવિનાયક સોસાયટીમાં મધરાત્રે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચમાં આવેલી ભોલાવ ગામની સિદ્ધી વિનાયક સોસાયટીમાં રહેતાં નિરલેપ યોગેશ શાહે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ આપી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે, તેઓ રાત્રીના સમયે તેમના ઘરે હતાં. તે વેળાં ૧૧.૫૦ વાગ્યાના અરસામાં ભોલાવ ગામ પંચાયત સભ્ય પ્રયાગસિંહ રણજિતસિંહ વાંસિયા ૨૫થી ૩૦ લોકોના ટોળા સાથે તેમના ઘરના કંપાઉન્ડમાં ઘુસી આવ્યાં હતાં. અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો અને ધિંગાણું સર્જયુ હતું.
જે પૈકી બે શખ્સો પાસે ચપ્પુ પણ હતું. તેઓએ તમામે દારૂનો નશો કર્યો હોઈ બેકામ અપશબ્દો ઉચ્ચારી ભયજનક માહોલ ઉભો કર્યો હતો. દરમિયાનમાં સોસાયટીમાં રહેતાં આસપાસના લોકો દોડી આવતાં તેમણે ટોળાને કાબુમાં લોવનો પ્રયાસ કર્યો હતો. તેમજ ટોળાને સોસાયટીમાંથી બહાર નિકળી જવા કહેતાં ટોળા પૈકીના ૧૦થી ૧૨ જણાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી તેમજ આવતી કાલનો સુરજ નહીં જૂએ, અહીં નહીં તો બહાર તને જોઈ લઈશું તેવી ધમકીઓ આપતાં તેમના પરિવારના સભ્યોમાં ભયનો માહોલ ફેલાયો છે, જેથી આગામી દિવસોમાં જો તેમને કે તેમના પરિવારના કોઈ સભ્યને કાંઈ પણ થાય તો તેની તમામ જવાબદારી પ્રયાગસિંહ વાંસિયાની રહેશે તેમ જણાવ્યું હતું.
નોંધનિય છે કે, સોસાયટીમાં નવા બનાવેલાં ગેટ અને તેના પર લગાવેલી તકતીને લઈને સોસાયટીના સભ્યોમાં ચર્ચા થઈ હતી. જેમાં નિરલેપ શાહે પણ પોતાનું મંતવ્ય આપ્યુ હતું. જોકે, તેને લઈને ભોલાવ ગામ પંચાયતના પ્રયાગસિંહ વાંસિયાએ તેમના સાગરિતો સાથે ભયનો માહોલ ઉભો કર્યો હતો. ઘટનાને લઈને રાજકિય ગરમાવો આવ્યો હતો. ભાજપનું જ એક જૂથ કેસ ન થાય તે માટે જ્યારે બીજું જૂથ કેસ થાય તે માટે મથામણ કરી રહ્યું છે.
