સિદ્ધીવિનાયક સોસાયટીમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચના ભોલાવ ગામે આવેલી સિદ્ધી વિનાયક સોસાયટીમાં રહેતાં નિર્લેપ યોગેશ શાહના ઘરના કંપાઉન્ડમાં ભોલાવ ગ્રામ પંચાયતના સભ્યએ ટોળા સાથે પ્રવેશી ભયજનક માહોલ ઉભો કરી તોડફોડ કરી હતી. ઘટનાને પગલે પહેલાં પોલીસે અરજી લીધી હતી. જોકે, પ્રાથમિક તપાસના અંતે મામલાની ગંભીરતા જાણીને આખરે પોલીસે બીએનએસની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. જેમાં નિર્લેપ શાહે ફરિયાદ આપી છે કે, તેમની સોસાયટીમાં મુખ્ય એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. જેના પર એક તકતી લગાવેલી છે. જેમાં તેમની સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી તેમજ સોસાયટીના રહિશ પ્રયાગરાજસિંહ તથા અન્ય રહિશોના નામ લખેલાં હતાં. જે બાબતે તેમને અને સોસાયટીના અન્ય રહિશોનો વિરોધ હોઇ તેમની સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં 31મી ઓગષ્ટે રાત્રે સોસાયટીના કોમન પ્લોટમાં સામાન્ય સભાનો તેમણે મેસેજ નાંખ્યો હતો. સામાન્ય સભામાં સોસાયટીના 40 જેટલાં લોકો હાજર રહ્યાં હતાં. પરંતુ સોસાયટી પ્રમુખ કે સેક્રેટરી હાજર રહ્યાં ન હતી. રાત્રે મોડે સુધી તેઓ નહીં આવતાં બધા પોતાનાઘરે જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં તેમની સોસાયટીમાં રહેતાં પ્રયાગરાજસિંહ રણજીતસિંહ વાંસિયા તેના સાગરિતોના સાથે તેમના ઘરના કંપાઉન્ડમાં ઘુસી ગયાં હતાં અને હંગામો કર્યો હતો. ટોળાએ તેમના ઘરના દરવાજાને, તેમજ ખુરશીઓ તથા સાયકલને નુકશાન કરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. જોકે, આસપાસના મકાનમાં રહેતાં લોકોએ દોડી આવી ટોળાને ઘરની બહાર કાઢ્યાં હતાં. જોકે, તેઓએ જતાં જતાં પણ તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
