ઈન્દિરા સાગર ડેમના ૧૨ દરવાજા ખોલી સરદાર સરોવર ડેમમાં પાણી છોડાયું
ઉપરવાસમાંથી છોડાતું ૨.૨૧ લાખ કયૂસેક પાણી ૨૪ કલાકમાં સરદાર સરોવર ડેમમાં આવશે
। ભરૂચ ।
ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં પુન: વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલાં ઈન્દિરા સાગર ડેમમાં પાણીનો આવરો વધ્યો છે. જેના કારણે બુધવારે બપોરના દોઢ વાગ્યેથી તેના ૧૨ દરવાજા દોઢ મીટર ખોલીને સરદાર સરોવરમાં ૨.૨૧ લાખ કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે. જે પાણી આગામી ૨૪ કલાકમાં સરદાર સરોવર ડેમના કેચમેન્ટ એરિયામાં આવતાં ડેમની સપાટીમાં વધારો થશે.
સરદાર સરોવરની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ત્યારે હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ૧૩૫.૩૮ મીટર પર સ્થિર છે. ત્યારે બપોરે દોઢ વાગ્યે ઈન્દિરાસાગર ડેમમાંથી છોડવામાં આવેલું ૨.૨૧ લાખ ક્યૂસેક પાણી ૨૪ કલાક બાદ સરદાર સરોવર ડેમમાં આવતાં જળસપાટીમાં વધારો થવાની શક્યતાઓ છે. ત્યારે સરદાર સરોવરની સપાટી વધતાં ડેમના દરવાજો ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે. જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું સ્તર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સરદાર સરોવર ડેમમાં હાલમાં ૮૪૨૮.૮૦ એમસીએમનું ગ્રોસ સ્ટોરેજ છે. એટલે કે ૮૯.૧૦ ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમના હાલમાં ૧૦ દરવાજા ૭૨ સેમી ખુલ્લા રાખી નદીમાં ૯૫,૧૧૧ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કેનાલમાં ૨૩૦૧૦ કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
