ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભઽકે, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, પાલેજ, કરજણ વિગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસ કામો, વંદેભારત, સૂર્ય નગરી વિગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વિગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કલેટર, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિષે ચર્ચા કરી તેમને ઝડપી પુર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ડભોઇ – કરજણ રેલવે લાઈન જેનું નેરો ગેજ માંથી બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયેલ છે, તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરુ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું. આ ઉપરાંત ભરૂચ રેલ્વે લાઇન નીચેના કસક ગરનાળાને પહોળા કરવા બાબત તેમજ નર્મદા નદી પર હાલના ૧૦૦ વરસ જુના રેલ્વે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબત પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
Advertisement
