આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી
। ભરૂચ |
ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જીદમાં શનિવારના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મુલાકાતે આવ્યા હતા પરંતુ તેમની સાથે ભરૂચના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી પણ પહોંચતા મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો હતો જેને લઈને સોમવારના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જીદમાં શનિવારે બનેલી ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો છે. ભરૂચની જુમ્મા મસ્જીદ ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવ્યો છે જેને લઈને ઘણા સમયથી ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી આ સ્થળની મુલાકાત કરવા માટે આવતા હોય છે. તા.૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ મસ્જીદમાં મહારાષ્ટ્રથી દર્શનાર્થીઓ પહોંચ્યા હતા જે દરમ્યાન પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવેશ પટેલ ઉર્ફે મુકતાનંદ સ્વામી પણ અંદર પ્રવેશ્યા હતા. આ ભાવેશ પટેલ ઉર્ફે મુકતાનંદ સ્વામી ૨૦૦૭ના અજમેર બોમ્બ કાંડમાં આરોપી રહી ચુકયા છે અને હાલ જામીન પર છે. સ્થાનિક સમુદાયના જણાવ્યા અનુસાર તેઓએ મસ્જીદના ગર્ભગૃહમાં પ્રવેશીને મસ્જીદના છત સુધી ચપ્પલ પહેરીને જ પહોંચ્યા હતા આ ઘટનાથી મુસ્લીમ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો.
મસ્જીદના વહીવટકર્તાઓએ તથા આગેવાનો દ્વારા પોલીસ પ્રશાસનને સહકાર આપવામાં આવ્યો હતો છતાં આ ઘટનાને પગલે ધાર્મિક સ્થળની પવિત્રતા ભંગ થવાની લાગલી ઉઠી છે. મુસ્લીમ આગેવાનો દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જેના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનો તથા જુમ્મા મસ્જીદના ટ્રસ્ટીઓ જિલ્લા કલેકટર ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. તેઓએ માંગ કરી છે કે, સમાજમાં ભાઈચારો, શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચિંતા વ્યકત કરતા સ્થાનિક મુસ્લીમ સમુદાયે આ ઘટનાનો વિરોધ કર્યો છે. સાથે જ આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માંગ કરી છે.
