વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પૂજા અર્ચના કરી,
શહેરવાસીઓ માટે સુરક્ષિત અને વિનામૂલ્યે ગરબા આયોજન
ભરૂચ શહેરમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શહેર તથા જિલ્લાના સર્વસામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે.
શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી. સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રિના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી.ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે, મહિલાઓ માટે ખાસ હેલ્પડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે. જનતા માટે કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરી રહ્યો છે.આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુશિક્ષિત, સંયમી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આ આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી, પરંતુ શહેરવાસીઓ માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તકરૂપ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકશે..
