દહેજની એનએસીએલ કંપની પાસે બનેલી ઘટના
। ભરૂચ ।
વાગરા તલુકાના પણિયાદરા ગામે રહેતાં પ્રદિપ નટવર ગોહિલ કનુભાઈ સોલંકીના છોટા હાથી ટેમ્પો પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે રાત્રીના સમયે તે છોટાહાથી ટેમ્પોમાં મહાવિર કોન્ટ્રાક્ટના ચાર માણસો હરાધન મનીન્દ્ર દેબનાથ (રહે. પશ્ચિમ બંગાળ), પ્રબિંદ્રા રામાનંદી ત્રીપુરા (રહે. ત્રિપુરા) શ્રીધર સિંઘ પવન સાયા (રહે. છત્તીસગઢ) તેમજ અન્ય એક શખ્સને ટેમ્પોમાં પાછળ બેસાડીને જોલવા જીઓ પેટ્રોલ પંપની પાછળ જવા માટે નિકળ્યા હતાં.
દરમિયાનમાં રાત્રીના પોણા આઠેક વાગ્યાના અરસામાં એનએસીએલ કંપની પાસે આવતાં એક ટ્રેલર સામેથી રોડની વચ્ચોવચ્ચ આવતું હોઈ તેમજ તેની લાઈટ ફૂલ હોઈ તેણે ડીપર મારી હતી. જોકે, તેણે લાઈટ ડીમ કરી ન હતી. જેથી તેણે ટેમ્પો રોડની સાઈડમાં કરવા છતાં ટ્રેલર ચાલકે વચ્ચોવચ્ચ ટ્રેલર ચલાવી લાવ્યો હતો. જેના કારણે ટ્રેલરમાં આડી મુકેલી લોખંડની ચેનલો કે જે ટેન્કરની બન્ને તરફ ચાર-ચાર ફૂટ નિકળેલ હોઈ તેમના ટેમ્પોના ડ્રાઈવર સાઈડનો ભાગ ચેનલોના કારણે કપાઈ ગયો હતો. જેના કારણે પાછળ બેસેલાં શ્રમીકો પૈકી હરાધનનો જમણો હાથ કોણીના નીચેના ભાગેથી આખો કપાઈ ગયો હતો. બીજી તરફ અન્ય કામદારોને પણ ઈજાઓ થઈ હતી. તમામને સારવાર માટે ૧૦૮ની મદદથી ભરૂચ ખાતેની હોસ્પિટલમાં લઈ અવાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન હરાધનનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ટ્રેલર મુકી ફરાર થઈ ગયો હોઈ દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
