ભરૂચ
ભરૂચ જિલ્લા નશાબંધી સમિતિ તેમજ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરી દ્વારા તા.૨ ઓક્ટોબરથી તા.૮ ઓક્ટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે. વ્યસનથી સમાજમાં અનેક પ્રકારના દુષણોનો જન્મ થાય છે. પરિણામે સમાજ અને રાષ્ટ્રને નુકસાન થાય છે. જે અંગે લોકજાગૃતિ કેળવવાના આશયથી ભરૂચ જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજરોજ તા.૨ ઓક્ટોબરના રોજ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિધાલય થવાથી મહાત્મા ગાંધીજીના વિચારોને વરેલી સંસ્થા ખાતેથી નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરાયો હતો. ગ્રામ નિર્માણ કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં નશાબંધી અને આબકારી તથા ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રા. લી.વાલીયા અને ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવાના સંયુક્ત ઉપક્રમે નશાબંધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે, નશો કોઇપણ વ્યક્તિ માટે નુકસાનકારક છે તે અંગે બ્રહ્માકુમારીઝના ઉર્મિલાબન અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ વાલિયાના એચ. આર. દેવેન્દ્રસિંહ કોસાડાએ વાતો કરી માર્ગદર્શન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી અંગે મધ્યપ્રદેશથી પધારેલ ડો. પાલિવાલજીએ મહાત્મા ગાંધીના વિચારો અંગે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત સંવાદ કર્યો. નશાબંધી અને આબકારી ખાતું ભરૂચ અને ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંસ્થાના જુદા – જુદા વિભાગોના શૈક્ષણિક, રમતગમત ક્ષેત્રે અને સાંસ્કૃતિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને બહુમૂલ્ય ગિફ્ટ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આજના કાર્યક્રમમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ ઉપસ્થિત હતો. નશાબંધી અને આબકારી ખાતુ ભરૂચના અધિક્ષક શ્રી ભાવિન ચોલેરા સાહેબની ઉપસ્થિતિ સમગ્ર શૈક્ષણિક કેમ્પસ માટે પ્રેરણાદાયી બની રહી.
Advertisement
