ભરૂચ :
ભરૂચ શહેરના પ્રખ્યાત રણછોડજી ઢોળાવ પર આવેલ પ્રાચીન અને લોકપ્રિય રણછોડજી મંદિરે દર વર્ષે શરદપૂર્ણિમાના દિવસે વિશાળ સ્તરે ઉજવણી યોજાતી હોય છે. ધાર્મિક મહત્વ ધરાવતા આ તહેવારને લઈને મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે. શરદપૂર્ણિમાના અવસર પર મંદિર પરિસરને દીપમાળાથી સુંદર રીતે શણગારવામાં આવે છે, જેના કારણે સમગ્ર વિસ્તાર આલોકિત બની જાય છે.
ભક્તો દ્વારા પરંપરા મુજબ આખી રાતભર ભગવાનના સ્મરણમાં ભજન-કીર્તનનું આયોજન કરવામાં આવે છે. સંગીતમય ભજનોની મધુર ધ્વનિથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાય છે. આ પ્રસંગે દૂર-દૂરથી ભક્તો હાજરી આપી ધર્મલાભ મેળવે છે.
આ વર્ષે પણ તા. 6ના રોજ શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે યોજાશે. મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક ભક્તોએ મળીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ખાસ કરીને દીપમાળાનો શણગાર, ભજન કાર્યક્રમો તથા ભક્તોની સુવિધા માટેની વ્યવસ્થાઓ સુચારુ રીતે કરવામાં આવી રહી છે.
મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે કે વધુમાં વધુ ભક્તો ઉપસ્થિત રહીને ભગવાન રણછોડજીના આશીર્વાદનો લાભ મેળવે અને શરદપૂર્ણિમાની આ અનોખી ભક્તિભાવસભર ઉજવણીનો ભાગ બને.
