વાંકલ ::
વિકાસ રથ થકી ગ્રામજનો સુધી યોજનાના લાભ પહોંચાડવાનો સંકલ્પ નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૪ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે, જે અન્વયે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા વિકાસ રથનું સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે તા.પંચાયતના દંડક ભૂમિબેન વસાવાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયગાળામાં જે ઝડપથી સર્વાંગી વિકાસના પથ પર આગળ વધ્યું છે, તે એક માત્ર શિસ્તબદ્ધ વહીવટ, નિતીશાસ્ત્ર આધારિત નેતૃત્વ અને જનસહયોગથી શક્ય બન્યું છે. ગુજરાત આજે વિકાસના મોડેલ રૂપે સમગ્ર દેશમાં ઓળખાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત એક વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનવા માટે માર્ગ પર આગળ વધી રહ્યું છે, જ્યાં દરેક નાગરિકનો સર્વાંગી વિકાસ અને સુખાકારી મુખ્ય ધ્યેય છે.
આરોગ્ય અધિકારી ડો. હરેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ શરૂ કરાયેલી ‘આયુષ્માન ભારત’ યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બની છે. આરોગ્ય એ જીવનનો આધારસ્તંભ છે. સરકારની કલ્યાણકારી અને જનસુખાકારી યોજનાન લાભ થકી આપણે સૌને સુખદ, નિરોગી અને સક્ષમ જીવન જીવવાનો એક અવસર મળ્યો છે.
મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓએ ઘરઆંગણે લાભો મળવાની ખુશી પોતાના પ્રતિભાવો મારફતે વ્યક્ત કરી હતી. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે તા.પંચાયતના સભ્ય તૃપ્તિબેન મૈસૂરિયા, તા.વિકાસ અધિકારી હરદીપસિંગ ગરીયા, સરપંચશ્રી અનિતાબેન ઠાકોર,ઉપ સરપંચ શૈલેષ મૈસુરીયા,તા.આરોગ્ય અધિકારી ડો. સમીરભાઈ ચૌધરી, મામલતદાર ડો.હિતેશ ચાવડા, નાયબ મામલતદાર પંકજ ચૌધરી, CDPO માધુરીબેન ગુપ્તા,દિનેશ સુરતી, DGVCLના નાયબ કાર્યપાલક ઇજનેર કેવજીભાઇ વસાવા, અગ્રણી ઠાકોરભાઈ ચૌધરી, મોહનસિંહ ખેર સહિત લાભાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
