અંકલેશ્વર-હાંસોટ પંથકમાં સતત બીજા વર્ષે ડાંગર પાક પલળ્યો છે. અંકલેશ્વર-હાંસોટ પંથક માં અંદાજિત 6000 હેક્ટર ડાંગરના પાકને વ્યાપક નુકશાન જોવા મળી રહ્યું છે. હાંસોટ માં આઠ કિ મી રોડ પર સૂકવેલા દોઢ લાખ મણ પાક માવઠામાં પલળ્યો છે. ખેડૂતોની હાલત કફોડી થવાની સાથે 380 થી 450 પ્રતિ 20 કિ ગ્રા ભાવ સામે હવે ડાંગર પલળી જતા 300 થવા ની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ધરતીનો તાત ને બેવડા ફટકા ના માર સામે સરકાર દ્વારા સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી છે.
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બેવડી આફત બનીને વરસ્યો છે. ખેતરમાં તૈયાર થયેલો ડાંગરનો પાક લણણી સમયે જ વરસાદમાં પલળી જતાં, ખેડૂતોએ બચેલો પાક ખેતર માંથી કાઢો અને રસ્તાઓ પર ચૂકવવાની ફરજ પડી હતી. પરંતુ, આજે સવારે ફરી વરસેલા કમોસમી વરસાદે રોડ પર સૂકવેલા આ પાકને પણ પલાળી દેવા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. કમોસમી વરસાદે ડાંગરની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને મહેનત કરીને પકાવેલા સોના જેવા પાક જ્યારે લણવાનો સમય આવ્યો, ત્યારે જ માવઠાએ બધી મહેનત પર પાણી ફેરવી દીધું હતું. ખેતરોમાં પાણી ભરાયેલું હોવાથી ખેડૂતો જેમ તેમ કરી પાકને બહાર કાઢી તેને બચાવવા મથી રહ્યા હતા. હાંસોટના કુડાદરા, પરવત તેમજ અંકલેશ્વર ના સિસોદ્રા અને પંડવાઈ સહિતના ગામોના ખેડૂતોએ આશરે દોઢ લાખ મણ ડાંગરનો પાક મુખ્ય માર્ગ પર લગભગ 8 કિલોમીટર લાંબા પટ્ટા પર સૂકવવા માટે મૂક્યો હતો. ખેડૂતોને આશા હતી કે રસ્તા પર પાક સુકાઈ જશે અને નુકસાનીથી બચી શકાશે, પરંતુ આજે સવારે ફરી એકવાર વરસાદી ઝાપટું વરસતાં રોડ પર તપાવવા મૂકેલો લાખો મણ ડાંગરનો પાક પણ પલળી ગયો હતો, જેનાથી ખેડૂતોની રહીસહી આશા પણ ધોવાઈ ગઈ હતી. ખેડૂતો વ્યથા ઠાલવતી જણાવ્યું હતું કે, આ કમોસમી વરસાદની સીધી અસર પાકના ભાવ પર પડી છે. સતત ચાર વખત વરસેલા વરસાદ પહેલા ડાંગરનો પ્રતિ મણ ભાવ રૂ. 415 થી 380 મળતો હતો, જે હવે ઘટીને રૂ. 300 ની આસપાસ થઇ જશે. હજુ ડાંગર લેવાની શરૂઆત થઇ નથી અને ભાવ પણ જાહેર થયા નથી. ત્યારે લાભ પાંચમ બાદ ભાવ જાહેર થતા હોય છે.આ વચ્ચે વેપારીઓ પલળેલા પાકનો ઓછો ભાવ આપી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
