દહેજ નજીક આવેલાં જોલવા ગામે બનેલી ઘટના
મળસ્કે ત્રણ વાગ્યે તુ કોને મેસેજ કરે છે તેમ કહી પતિએ હુમલો કર્યો
। ભરૂચ !
વાગરા તાલુકામાં દહેજ પાસે આવેલાં જોલવા ગામે સેફોન સિટી ખાતે રહેતી શ્વેતા ચૌધરીના લગ્ન તેના પતિ સાથે ૧૩ વર્ષ પહેલાં થયાં હતાં. તેના પતિ જોલવા ખાતે ફાયર સેફ્ટીના સાધનોની દુકાન ચલાવે છે. દાંપત્ય જીવનમાં તેમને બે બાળકોનું સંતાન સુખ પણ મળ્યુ છે. જોકે, છેલ્લા પાંચેક વર્ષથી તેના પતિ અનિકેત જયશંકર ચૌધરીને તાઈબા ખાતુન નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ બધાયો હતો. બે વર્ષ પહેલાં શ્વેતાને જાણ થતાં તેમની વચ્ચે ઉંચ ઝઘડો થયો હતો. જોકે, બાળકો નાના હોવાથી તેણે સમાધાન કરી લીધું હતું. તેનો પતિ તે યુવતી સાથે લખાબાવા નગરમાં ભાડેથી મકાન રાખી લીવ-ઈનમાં રહે છે.
દરિયામાનમાં એક મહિના પહેલાં તાઈબા ખાતુનને એક છોકરી થઈ હોવાની તેને જાણ થઈ હતી. જેથી છ.એક દિવસો પહેલાં શ્વેતા તાઈબા ખાતુનના ઘરે ગઈ હતી. જે અંગે તેના પતિને જાણ થતાં તેણે તુ તાઈબાના ઘરે કેમ ગઈ હતી કહી તેને માર માર્યો હતો. જે બાદ પણ અવાર-નવાર તેની સાથે ઝઘડો કરી માર મારતો હતો. દરમિયાનમાં ગઈકાલે મળસ્કે ત્રણેક વાગ્યાના અરસામાં અનિકેત ઘરે આવતાં તેણે દરવાજો ખખડાવ્યો હતો. શ્વેતાએ દરવાજો ખોલતાં જ તુ કોની સાથે વોટ્સએપ મેસેજ કરતી હતી તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ રસોડામાં જઈ ચપ્પુ લાવી તેના બન્ને હાથ પર ચપ્પુના ઘા કર્યા હતા. તેમજ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાને પગલે તેમણે સવારે ૧૮૧માં ફોન કરતાં પોલીસે આવી ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયાં હતાં. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
