તાજેતરમાં જીએનએફસી ખાતે થયેલી મુલાકાતમાં હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી
ભરૂચ.
રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આગામી ૧૫મીએ દેડિયાપાડા ખાતે યોજાનારા પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમના અનુસંધાને ભરૂચ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે આવ્યાં હતાં. દરમિયાનમાં ક્રેડાઈ ભરૂચ ચેપ્ટરના પ્રમુખ નિષિધ અગ્રવાલ તેમજ તેમની ટીમે ડેપ્યુટી સીએમ સાથે ખાસ બેઠક કરી શહેરની વકરતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ અંગે ચર્ચા કરી હતી. જોકે, ડે. સીએમ હર્ષ સંઘવીએ તેમેન ગાંધીનગર ખાતે મળીને વિસ્તૃત ચર્ચા કરવાનું જણાવતાં તેઓ હવે ગાંધીનગર તેમની મુલાકાતે જશે.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આગામી ૧૫મી નવેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીનો વિશાળ કાર્યક્રમ યોજાનારો છે. ત્યારે ભરૂચ સહિત ૫ જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે રાજ્યના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ સમિક્ષા બેઠક યોજી હતી. ભરૂચના જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન કાર્યક્રમને લઈને ચર્ચા કરાઈ હતી. દરમિયાનમાં ભરૂચ ક્રેડાઈના પ્રતિનિધી મંડળે તેમની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ભરૂચની હાલની સૌથી મોટી સમસ્યા એટલે કે ટ્રાફિકની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. ક્રેડાઈના પ્રમુખ નિષિધ અગ્રવાલે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ટ્રાફિકની સસમ્યાને કારણે પરિવહન અને વ્યાપારિક પ્રવૃત્તિઓને ભારે અસર પડી રહી છે. ત્યારે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની રજૂઆતોને સાંભળીને તેમને આ મામલામાં વિસ્તૃત ચર્ચાવિચારણા કરવા માટે ગાંધીનગર ખાતે ફરી મળવાની સુચના આપી હતી.ત્યારે ટૂંક સમયામાં જ કેડાઈની ટીમ ગાંધીનગર જઈને સંબંધિત વિભાગો સમક્ષ વિસ્તૃત રજૂઆત કરશે તેમ નિષિધ અગ્રવાલે જણાવ્યું હતું.
