ઘટનાની જાણ થતાં પાલિકાના લાશ્કરોએ દોડી આવી શ્રમિકને બહાર કાઢ્યો
। ભરૂચ ।
ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં આવેલાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. તે વેળાં અચાનક મકાનનો એક ભાગ ધરાશાયી થઈ જતાં ત્યાં કામ કરતાં ૫ પૈકીનો એક શ્રમજીવી કાટમાળમાં દટાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં લાશ્કરોએ દોડી આવી તેને બહાર કાઢવો હતો.
ભરૂચ શહેરના જૂના ભરૂચ વિસ્તારમાં ૨૫૦થી વધુ જર્જરિત મકાનો આવેલાં છે. પાલિકા દ્વારા દર ચોમાસા પહેલા જીવતા બોમ્બ સમાન જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે માલિક-ભાડૂઆતોને નોટિસ આપવામાં આવે છે. જોકે, ભાડૂઆત અને મકાનમાલિક વચ્ચે ચાલતાં કોર્ટ કેસ સહિત અન્ય કારણોસર મોટાભાગની ઈમારતો લોકો ઉતારતાં નથી. દરમિયાનમાં ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં આવેલાં એક જર્જરિત મકાનને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ હતી. ગઈકાલે રાત્રીના ૯ વાગ્યાના અરસામાં ૫ જેટલાં શ્રમિકો ત્યાં કામ કરી રહ્યાં હતાં. તે વેળાં મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ જતાં પાંચ પૈકીનો એક શ્રમિક કાટમાળ નીચે દબાઈ ગયો હતો. લોકોએ તેને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કર્યા હતાં. બીજી તરફ ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને જાણ કરવામાં આવતાં ટીમે તુરંત સ્થળ પર દોડી જઈ કાટમાળને દૂર કરવાની કવાયત હાથ ધરી યેન-કેન પ્રકારે શ્રમિકને બહાર કાઢતાં તેનું નામ ટીનાભાઈ હોવાનું માલુમ પડયું હતું. શ્રમિકને નાની-મોટી ઈજાઓ થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
