નર્મદા પાર્કના સંચાલનને જિલ્લા પંચાયતના અધિકારી અજાણ
ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર ખાતે નિલકંઠ મંદિર પાસે બનાવેલું નર્મદા પાર્ક સ્થાનિક લોકોના આનંદપ્રમોદ અને મનોરંજન માટેનું સ્થળ છે. બીડા દ્વારા તૈયાર કરાયેલાં આ સ્થળનો ઉપયોગ માત્ર મનોરંજન અને આનંદપ્રમોદ માટે થાય તે હેતું હતો. જોકે, છેલ્લાં કેટલાંક સમયથી નર્મદાપાર્કનું સંચાલન જિલ્લા પંચાયતને સોંપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા પંચાયત દ્વારા નર્મદા પાર્કનો ઈજારો કોને અને ક્યાર તેમજ કઈ-કઈ શરતોને આધિન આપવામાં આવ્યો છે. તેનું સ્પષ્ટીકરણ નથી.ત્યારે હાલમાં નર્મદા પાર્કમાં લગ્ન પ્રસંગ માટે મંડપ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આગામી ૨૩-૨૪ નવેમ્બરના રોજ ધામધૂમ સાથે અહીં લગ્નનો પ્રસંગ યોજનાર છે. ત્યારે તે માટે હાળમાં ત્યાં ભવ્યતિભવ્ય લગ્ન પ્રસંગનો સેટ ઊભો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સવાર-સાંજ નર્મદા પાર્કમાં ટહેલવા-બેસવા આવતાં લોકો તેમાંય શનિ-રવિ ના દિવસે આખો દિવસ ત્યાં લોકોની ભીડ જામતી હોય છે. ત્યારે ખાસ લોકોના મનોરંજન માટે બનાવેલાં સ્થળને હવે લગ્નપ્રસંગો માટે આપવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બોડામાં પહેલા સંપર્ક કરવામાં આવતાં તેમણે નર્મદા પાર્કનું સંચાલન જિલ્લા પંચાયતને સોંપી દીધું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે જિલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગના એક્ઝીક્યુટીવ ઈજનેર ભુપેશ ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે પહેલાં તેઓ હાલમાં જ બદલી થઈ આવ્યા હોઈ માહિતગાર ન હોઈ જાણીને વિગતો આપવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં તેઓએ ફોન ઉપાડવાના જ બંધ કરી દીધાં હતાં.
