સર્વોદય જનકલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા આજ રોજ ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે વસ્ત્ર દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરતમંદ લોકો માટે લોકો થકી અને લોકો દ્વારા આવેલ વસ્ત્ર દાન અંતરિયાળ વિસ્તારના ગરીબ અને નિરાધાર લોકો ને મળી રહે એ માટે આશરે 250 થી વધારે કપડાંની જોડી મોરથાણ ગામના હળપતિવાસમાં વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ દર્શન નાયક, મંત્રી જયેન્દ્ર દેસાઈ, સહમંત્રી બાદલ પટેલ, ગામના સરપંચ જયેશ દેસાઈ તેમજ સહકારી તથા સામાજિક આગેવાન અંદાજ શેખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સર્વોદય ટ્રસ્ટના પ્રમુખ દર્શન નાયકે જણાવ્યું કે, અમારા ટ્રસ્ટ થકી અવારનવાર રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ટ્રસ્ટ થકી નાના માણસો સુધી કઈ રીતે પહોંચી શકાય અને કઈ રીતે ગરીબ અને જરૂરતમંદો ને સહાયરૂપ બની શકાય એ માટે અમો હરહંમેશ પ્રયત્નશીલ રહેતા આવ્યા છે. આવનાર દિવસોમાં પણ આ ટ્રસ્ટ થકી નાના માણસોને મદદરૂપ થવાય એ માટે સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
