ભરૂચ
ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તાજેતરમાં જ વરિષ્ઠ નાગરિકોના અધિકારો અંગે જાગૃતિ અને સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં કુલ 90 જેટલા વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ કાર્યક્રમ રાણાપંચની વાડી, સિદ્ધરાજ નગર હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને સિનિયર સિટિઝન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કાર્યક્રમમાં સેક્રેટરી શ્રી પી. પી. મોકાશી દ્વારા Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 અને NALSA (Legal Services to Senior Citizens) Scheme, 2016 અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ નાયબ મામલતદાર લિયાકતભાઈના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ નાગરિકોને તેમના હક્ક-અધિકારો અને સરકારી યોજના વિશે ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત એડવોકેટ અશ્વિનભાઈ મિસ્ત્રી અને એડવોકેટ સંજયભાઈ વોરા દ્વારા વરિષ્ઠ નાગરિકોના હિતોની રક્ષા માટે ઉપલબ્ધ કાનૂની હક્કો, સહાય અને નિયમોની માહિતગાર રજૂઆત કરવામાં આવી. નાગરિકોને વધુ માહિતી મેળવવા માટે ટોલ ફ્રી નંબર 15100 નો ઉપયોગ કરી શકાય તેવી માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી.
ભરૂચ શહેરમાં આવેલા વડીલોનું ઘર ખાતે પણ જાગૃતિ અને સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં એડવોકેટ રાજા ગોપાલ અને એડવોકેટ સુશ્રી એ. એસ. પાંડે દ્વારા વરિષ્ઠ નાગરિકોને Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 અંતર્ગત તેમના હકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ, સુરક્ષા અને કાનૂની જાગૃતિને પ્રોત્સાહન આપતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આ પ્રયાસની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
