સી ડિવિઝન પોલીસમાં અરજી કરી કસુરવારો સામે ફરિયાદ નોંધવા અરજી
ભરૂચ.
ભરૂચમાં આવેલી અંબાપાર્ક સોસાયટીમાં રહેતાં જીવદયા પ્રેમી મહેન્દ્ર કાચાએ સી ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે કે, તેઓ તેમની સોસાયટીમાં વર્ષોથી રહે છે અને તેઓ જીવદયા પ્રેમી છે. તેમની સોસાયટીમાં છેલ્લાં 4 દિવસથી કેટલાંક લોકોએ બહારથી માણસો બોલાવીને તેમના વિસ્તારમાં રહેતાં 5 શ્વાનને તેમના ગલુડિયા સહિત ગેરકાયદે રીતે પકડી તેમને ક્યાંક ફેંકાવી દીધાં છે. મુંગાજીવને આ રીતે પકડીને સ્થળાંતર કરવું તે એક ગેરકાયદે પ્રક્રિયા છે.
જીવદયા પ્રેમી મહેન્દ્ર કાચાએ જણાવ્યું હતું કે, તેઓ તે શ્વાનોને સંરક્ષણ આપતાં હતાં. શ્વાનની પોતાની એક ટેરેટરી હોય છે. અને જો ત્યાં અન્ય વિસ્તારનો ટેરેટરીનો શ્વાન આવે તો સ્થાનિક શ્વાન તેના પર હૂમલો કરે છે અને મોટાભાગના કિસ્સામાં બહારથી આવેલાં શ્વાનના મોત નીપજે છે. ત્યારે તેમની સોસાયટીમાંથી લઇ જવાયેલાં શ્વાનોને પુન: તે જ સ્થળે લાવી સ્થાપિત કરવામાં આવે તેમજ તેમને આ રીતે ગેરકાયદે સ્થળાંતર કરાવનાર સોસાયટીના લોકો તેમજ બહારથી આવેલાં લોકો સામે પશુકૃરતાના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.
