દહેજના નવા વાડિયા ગામે બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો
પરિવાર સગર્ભા પુત્રીને લઈ ભરૂચ હોસ્પિટલમાં આવ્યો હતો
। ભરૂચ ।
મુળ જંબુસરના છીદ્રા ગામના અને હાલમાં દહેજના નવા વાડિયા ગામે ઋષિરુપ કોમ્પલેક્ષ પાસે રહેતાં કલ્પના વસંતલાલ પંચાલના પતિ બીએસએફ આર્મીમાં નોકરી કરે છે. હાલમાં તેઓ જમ્મુ કાશ્મીરમાં ફરજ પર છે. તેમને સંતાનમાં ચાર છોકરી છે. જે પૈકીની મોટી પુત્રીના લગ્ન થઈ ગયાં હોઈ તે હાલમાં સગર્ભા હોઈ તે પિયરે જ હતી.
દરમિયાનમાં ગત ૮મી ડિસેમ્બરના રોજ તેઓ તેમની પુત્રીને બતાવવા માટે ભરૂચની એક હોસ્પિટલમાં આવ્યાં હતાં. જ્યાં તેની તબિયત સારી ન હોવાથી તેઓ ભરૂચમાં તેમના જેઠના ઘરે જ રોકાઈ ગયાં હતાં. તેમની બે પુત્રીઓ ઘરે એકલી હોઈ તેમના જમાઈ તેમને લઈને ભરૂચ આવ્યાં હતાં. તેમણે ઘરના દરવાજાને તાળું મારી ચાવી તેમના ઘરની બાજુમાં રહેતાં સગા કાકીને આપી હતી. જે બાદ તેઓ ૧૦મી ડિસેમ્બરે પરત ઘરે જતાં ઘરના મુખ્ય દરવાજાનું તાળું તુટેલું જણાયું હતું. તેમણે ઘરમાં પ્રવેશ કરી જોતાં તમામ સામાન વેરવિખેર પડેલો જણાયો હતો. તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંથી સોનાચાંદીના દાગીના તેમજ ૨૦ હજાર રૂપિયા રોકડા મળી કુલ ૯.૮૫ લાખનો મુદામાલ ચોરી થયો હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે દહેજ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ્સ તેમજ એફએસએલની ટીમ તથા ડોગ સ્કવોર્ડની ટીમની મદદથી આરોપીના સુરાગ મેળવવાની કોશિષ કરી હતી. ઘટના અંગેની ફરિયાદ નોંધી પોલીસે તસ્કરોના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
