અમદાવાદની યુનિક સ્વયંમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો. ઓ. સોસાયટીમાં એજન્ટ બનાવ્યા
કંપનીના ડિરેક્ટરથી માંડી ઝોનલ હેડ સુધીના ૮ જણા સામે ફરિયાદ નોંધાઈ
। ભરૂચ ।
ભરૂચના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ શાકમાર્કેટ પાસે આવેલી શંકરપાર્ક સોસાયટી ખાતે રહેતાં નરેશ લેવાપટેલ અમુલ ડેરી પ્રોડક્ટ્સના અંદાડા ખાતેના ડિસ્ટ્રીબ્યુટર તરીકે ધંધો કરે છે. વર્ષ ૨૦૧૨માં ભોલાવની અમરકુંજ સોસાયટીમાં રહેતાં અંબાલાલ માવસંગ ગોહિલના સંપર્કમાં તેઓ આવ્યાં હતાં. અંબાલાલે તેમને જણાવ્યું હતું કે, અમદાવાદની યુનિક સ્વયંમ મલ્ટીસ્ટેટ મલ્ટીપર્પઝ કો. ઓ. સોસાયટી છે. જે આરબીઆઈમાંથી મંજૂર થયેલી સોસાયટી છે. જેમાં એજન્ટ તરીકે કામ કરી અલગ અલગ સ્કીમો હેઠળ લોકોનું રોકાણ કરાવશો તો તેના બદલામાં સારૂ વળતર મળશે.
ઉપરાંત ૬ વર્ષમાં રોકાણ ડબલ થઈ જશે તેવી લાલચ તેમણે આપી હતી. તેમજ તેમણે ઉમેર્યું હતું કે, લોકો પાસે રોકાણ કરાવવાના બદલામાં તેમને ૨ ટકા સામાન્ય વળતર પણ મળશે. જેના પગલે તેમણે તેમની પત્નીના નામે 16 અને પુત્રીના નામે 4 પોલીશી ખોલાવી હતી. જેના બદલામાં તેમણે કુલ ૧૬.૮૦ લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે પાકતી મુદ્દતે તેમની રકમ ૨૫.૩૦ લાખ થઈ હતી. જોકે, તે પૈકીના તેમને ૪.૩૬ લાખ પરત મળ્યાં હતાં. જ્યારે બીજા ૨૦.૫૪ લાખ મળ્યાં ન હતાં. બીજી તરફ તેમના હાથ નીચે તેમણે બનાવેલા એજન્ટોએ પણ કામ કરીને અન્ય લોકોને પણ પોલીસી ચાલુ કરાવડાવી હતી. જેમાં પાકતી મુદતે તેમને કુલ ૪૯.૭૯ લાખ પરત મળવાના થતાં હતાં. જોકે, મુદત પુરી થવા છતાં તેમને રૂપિયા પરત નહીં મળતાં તેમણે અમદાવાદ ઓફિસમાં કંપનીના ડિરેક્ટરથી માંડીને ઝોનલ હેડ સુધીના ૮ લોકો સામે તેમણે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસ શરૂ કર્યા છે.
