જજ દ્વારા ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ
ભરૂચ.
ભરૂચ ન્યાયાયલમાં પોક્સો કોર્ટના ત્રીજા એડિશનલ જજ એચ. એચ. ગાંધીની કોર્ટમાં પાલેજનો એક પોક્સો કેસ ચાલી રહ્યો હતો. જેમાં સરકારી વકીલની સામે ભરૂચના જ વકીલ શૈલેન્દ્ર ધરીયા વકીલાત કરી રહ્યાં હતાં. ગત શુ્ક્રવારે તેમણે કોર્ટમાં કેસને લઇને શૈલેન્દ્ર ધરીયાએ પોતાની રજૂઆતો કરી દીધી હતી. બાદમાં બીજા દિવસે શનિવારે કોર્ટ તરફે તેમને અચાનક શોર્ટ નોટીસ આપી કેસ સંદર્ભે કોર્ટમાં હાજર થવા સુચના અપાઇ હતી. જોકે, તેઓ બહાર હોઇ તેમણે તે અંગે જણાવવા છતાં હાજર થવા જણાવ્યું હતું. ઘટનાને પગલે તેમણે જજ સમક્ષ રજૂઆત કરતાં તેમની વચ્ચે નોકઝોક થઇ હતી. જજે અસંયમિત ભાષા પ્રયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે વકીલ શૈલેન્દ્ર ધરિયાએ બાર એસોસિએશનને રજૂઆત કરતાં સાંજે કોર્ટમાં જ તેઓ ધરણાં પર ઉતરી ગયાં હતાં. ઉપરાંત જ્યાં સુધી ડિસ્ટ્રીક્ટ જજ કે હાઇકોર્ટ જજ આવીને સમસ્યાનું સમાધાન લાવે ત્યાં સુધી હડતાળ પર રહી ત્રીજા એડિશનલ કોર્ટના જજ એચ. એચ. ગાંધીની કોર્ટમાં કોઇ કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો હતો.
