સ્થાનિક લોકોનો ભારે વિરોધ છતાં માથાભારે ખનીજમાફિયાઓ પોતાની મનમાની કરતાં હોવાનો આક્ષેપ
ભરૂચ
ભરૂચ એસડીએમ મનીષા મનાની બુધવારે વાગરા પંથકમાં ફિલ્ડ વિઝીટમાં હતાં. તે વેળાં ઓવર લોડ માટી ભરી જતી ટ્રકો દેખાતાં તેમણે વાગરાના અલાદર ગામે ઓચિંતું ચેકિંગ કર્યું હતું. સ્થળ પર પહોંચતાં તેઓ ચોંકી ઉઠયા હતાં.
માટી ખનનના સ્થળે જમીનમાંથી પાણી નિકળવા સુધી ત્યાં ખોદકામ થયેલાનું જણાતાં તેમણે કામગીરી અટકાવી દીધી હતી. તેમણે તપાસ કરતાં આ લીઝ લલીત શર્માને ફળવાઈ હતી. અને ત્યાં તેમનો પુત્ર સુજીત માટી ખનન કરાવતો હતો. તેઓ તેમની કામગીરી કરી રહ્યા હતાં. તે વેળાં સુજીતે તેમની સાથે રકઝક કરી હતી. જોકે, તેમને ૧૦ હજાર મેટ્રીક ટન માટી ખનનની પરવાનગી હોવા સામે તેમણે વધુ માત્રામાં માટી ખનન કરી હોવાનું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું હોઈ તેમણે કાર્યવાહી ચાલુ રાખતાં સુજીતે તેના ભાઈ ભાવેશને બોલાવી લેતાં ભાવેશે પણ એસડીએમ મનીયા મનાની સાથે અશોભનિય રીતે તુતુમેમે કરવા લાગ્યો હતો. ગેરકાયદે માટી ખનન સબબ સ્થાનિક લોકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવતો હોવા છતાં બન્ને માથાભારે ભાઈઓ દ્વારા પરમીશન કરતાં વધુ ખોદાણ કરી નાંખ્યું હતું. એસડીએમ મનીષા મનાનીએ તુરંત ખાણ ખનિજ વિભાગની ટીમને સુચના આપતાં ટીમ સ્થળ પર પહોચવા રવાના થઈ હતી. ખાણખનીજ વિભાગ દ્વારા જીપીએસ થકી સ્થળ પર થયેલાં ગેરકાયદે ખનની વિગતો એકત્ર કરી તે પ્રમાણે દંડ ફટકારવામાં આવશે.
અત્રે નોંધનિય બાબત એ છે કે, માટીમાફિયાઓએ આ અગાઉ પણ ગેરકાયદે માટી ખનન કરી હોવાની બુમો ઉઠી છે. કેટલાંક સ્થળ પરવાનગી માંગવા છતાં નહીં મળતાં મનસ્વી રીતે ખોદકામ કરી લેતાં હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આવા માથાભારે માટીમાફિયાઓ સામે એક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે.
