વહિવટી તંત્રને બાનમાં લેનાર ખનીજ માફિયાઓ સામે સ્થાનિક ગ્રામજનોનો આક્રોશ
સ્થાનિક રહિશોએ કલેક્ટર કચેરીએ ખનન માફિયાઓના વિરોધમાં રોષ ઠાલવ્યો
। ભરૂચ !
વાગરાના અલાદર ગામે ગેરકાયદે માટી ચોરીના કારસાને એસડીએમ મનિષા મનાની અને તેમની ટીમે ઝડપી પાડયું હતું. ત્યારે સ્થાનિક પોલીસની હયાતીમાં માથાભારે ખનનમાફિયા ભાઈઓ સરકારી અધિકારીઓ સાથે તુતુમેમે કરતાં ખનન માફિયાઓ ઉચ્ચ રાજકિય પીઠબળને કારણે બેફામ બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાનમાં ગુરુવારે ખનનમાફિયાઓથી ત્રસ્ત સ્થાનિક રહિશોએ કલેક્ટર કચેરીએ પહોંચી ખનન માફિયાઓથી સ્વરક્ષણ અને જમીન રક્ષણ માટેની રજૂઆત કરી હતી.
વાગરા તાલુકામાં આવેલાં અલાદર ગામે ૧૦ હજાર મેટ્રીક ટન માટી ખોદવાની પરવાનગી લઈને ખનન માફિયાઓએ જમીનમાંથી પાણી નિકળે ત્યાં સુધીનું ખોદાણ કરી નાંખ્યું હતું. ઓચિંતા ચેકિંગ માટે સ્થળ પર પહોંચેલા એસડીએમએ ઘટનાને લઈને તુરંત સ્થાનિક પોલીસ તેમજ મામલતદાર સહિત જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ઓએનજીસીની ટીમને સ્થળ પર બોલાવી કાર્યવાહી કરી હતી. અરસામાં લીઝ ધારક લલીત શર્માના પુત્રો સુજીત અને ભાવેશે તેઓ પાસે પરવાનગી હોવાનું જણાવી સરકારી અધિકારીઓ સાથે તુતુમેમેં કરવા લાગ્યાં હતાં. માટી ખનના કારણે જમીનમાં ઉંડાણમાં પાથરેલી ઓએનજીસીની બે પાઈપલાઈન બહાર દેખાઈ આવી હતી. રાષ્ટ્રીય સંપતિમાં આવતી ઓએનજીસીની પાઈપલાઈનને નુકસાનની શક્યતાઓને લઈને ઓએનજીસીની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ખાલ ખનિજ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવતાં તેમણે પણ પ્રાથમિક તબક્કે સ્થળની માપણી કરવાની કવાયત હાથ ધરી હતી.
અરસામાં અંધારું થઈ જતાં સંબંધિત અધિકારીઓએ સ્થળ પર કામ બંધ કરાવી પરત ફરતાં બેફામ બનેલાં ખનન માફિયાઓએ સ્થળ પર પુનઃ ખનન શરૂ કરી દીધું હોવાનું ગામજનોમાંથી જાણવા મળી રહ્યું છે. સ્થાનિકઓએ આક્ષેપ કર્યો હતો કે, રાત્રીના સમયે ૧૫થી ૨૦ જેટલાં ડમ્પર ઓવર લોડ માટી ભરીને ત્યાંથી અન્યત્ર વહન કરી રહ્યાં હતાં. જેના તેઓએ વિડીયો પણ ઉતાયાં હતાં. ગુરુવારે સ્થાનિક રહિશોએ કલેક્ટર કચેરીએ પહોંચી તેમના વિસ્તારમાં ખનન માફિયાઓના આતંકથી તેઓને તેમજ તેમની જમીનોને બચાવવામાં આવે તેવી માંગ કરી હતી. ખનન માફિયાઓએ સરકારી અધિકારીઓએ સ્થળ તપાસ કર્યા બાદ પણ ત્યાંથી માટી ચોરી કરતાં તેઓ પોતાને નિતી નિયમોથી પર માનતાં હોય તેમ લાગી રહ્યું હોવાના આક્ષેપ સ્થાનિકોએ વ્યક્ત કર્યા છે.
