ભરૂચ
ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ વાળવા માટે એક ભગીરથ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શિયાળુ પાકોમાં ‘ઝેરમુક્ત ખેતી’ના સંકલ્પ સાથે ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક પદ્ધતિનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ તરફથી શિયાળુ પાકોની પ્રાકૃતિક ખેતી માટે તાલીમ આપવામાં આવી હતી. ૧૭ નવેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધીના તાલીમ કાર્યક્રમ અન્વયે મિશન ક્લસ્ટર અને પ્રાકૃતિક વિકાસ બોર્ડના તમામ ૧૮૦ ક્લસ્ટરો મળીને કુલ ૧૦૭૩૫ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે અંગે તાલીમ આપવામાં આવી હતી.
રવિ સિઝનના પાકોમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધે તેવા ઉમદા આશય સાથે આ તાલીમ કાર્યક્રમોમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના કૃષિ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોનો અમલ કેવી રીતે કરવો તે અંગે ખેડૂતોને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને રવિ સિઝનના પાકો જેવા કે, ઘઉં, ચણા, તથા શાકભાજી, કેળ, કઠોળ જેવા પાકની પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ, બીજ સંસ્કાર તથા શિયાળુ પાકોમાં વધુમાં વધુ જીવામૃતના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વધુમાં, વર્તમાન સમયમાં પાકોમાં જોવા મળતી રોગ-જીવાતના નિયંત્રણ માટે મોંઘા રાસાયણિક દવાના બદલે સ્થાનિક સ્તરે તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત સહિતનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું જીવંત નિદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી.તેમજ જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા વધારવા ઘન જીવામૃત બનાવવાની પદ્ધતિ અને વપરાશની રીત સાથે આચ્છાદન પદ્ધતિ અને મિશ્ર પાક પદ્ધતિ અંગે સમજણ આપી હતી.
આમ, તાલીમ કાર્યક્રમ અન્વયે ૯૭૨૦ ખેડૂતોને ભરૂચ જિલ્લામાં ૧૮૦ ક્લસ્ટરોમાં માર્ગદર્શન મેળવ્યું, ૩૭૮ જેટલા ખેડૂતોને જિલ્લા બહાર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે થીયરીકલ, પ્રેક્ટીકલ અને નિદર્શન મોડલ ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા. સાથોસાથ ભરૂચ જિલ્લાના ૬૩૭ જેટલા ખેડૂતોને પ્રેરણા પ્રવાસ કરાવી મોડલ ફાર્મની રૂબરૂ મુલાકાત લીધી હતી. આમ તાલીમ કાર્યક્રમો, નિદર્શન અને પ્રેરણા પ્રવાસો વગેરેના કારણે ગત ચોમાસુ સિઝન દરમિયાન ૭,૬૯૪ હેક્ટર જમીનમાં પ્રાકૃતિક રીતે ખેતી થઈ હતી.
