ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે તારીખ 5 જાન્યુઆરીથી રામ ચરિત માનસ રામ કથાનું ધાર્મિક ભાવના સાથે આયોજન કરવામાં આવ્યું છે. કથાના ચોથા દિવસે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ કથામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે જ હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, આગેવાન મહાદેવ પટેલ, હિમાંશુ પટેલ, હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જે.ડી.પટેલ, ગામના ડે.સરપંચ હિરેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે વ્યાસપીઠ પરથી કથાકાર ધનેન્દ્ર વ્યાસજીએ મંત્રી ઇશ્વરસિંહ પટેલને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. મંત્રી ઇશ્વરસિંહ પટેલે રામ કથાના ભવ્ય આયોજન બદલ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સંસ્કાર અને એકતાની ભાવના મજબૂત કરે છે.રામ કથાના ચોથા દિવસે ભગવાન શ્રીરામના જન્મોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય આતશબાજી સાથે રામજન્મોત્સવ ઉજવાયો હતો. સાથે જ 501 દિવડાની મહા આરતી યોજાઈ હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.રામ કથા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.આ કથા તારીખ 13 જાન્યુઆરી સુધી ચાલશે
