ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), નવસારી દ્વારા આયોજિત દક્ષિણ ઝોન કક્ષાની ‘રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન કોન્ફરન્સ’ તારીખ 7 જાન્યુઆરી, 2026ના રોજ સંપન્ન થઈ હતી. આ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાની દયાદરા હાઈસ્કૂલના શિક્ષક ડૉ. ઈમ્તીયાઝભાઈ ઘાંચી દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ સંશોધન પત્રને નિર્ણાયકો દ્વારા રાજ્ય કક્ષાની કોન્ફરન્સ માટે પસંદ કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાંથી પસંદગી પામેલ સંશોધકો માટે આયોજિત આ કોન્ફરન્સની મુખ્ય થીમ ‘વિધાર્થી કેન્દ્રી અધ્યયન પ્રક્રિયા’ (Student-Centric Learning Process) રાખવામાં આવી હતી. આ અંતર્ગત ડૉ. ઈમ્તીયાઝભાઈએ ‘The Efficacy of AI tools in Poetry Instruction for English as a Second Language (ESL) Learners’ વિષય પર પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું. તેમનું આ સંશોધન ખાસ કરીને અંગ્રેજીને દ્વિતીય ભાષા તરીકે શીખતા વિદ્યાર્થીઓ માટે કાવ્ય શિક્ષણ (Poetry Instruction) માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સાધનોની અસરકારકતા ચકાસવા પર કેન્દ્રિત હતું.
આ સંશોધન પત્ર ક્રિયાત્મક સંશોધન (Action Research) પર આધારિત છે, જેમાં વર્ગખંડના વાસ્તવિક અનુભવો અને પ્રાયોગિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આધુનિક ટેકનોલોજી અને શિક્ષણશાસ્ત્રના સમન્વય દ્વારા કેવી રીતે જટિલ કાવ્યાત્મક સંકલ્પનાઓને સરળ બનાવી શકાય, તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.
