આવનાર દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવી જ તપાસ ચાલુ રહેશે
ભરૂચ
ઉતરાયણ પર્વને લઈને ભરૂચ જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા સઘન તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી અંદાજે 30 દુકાનોમાં તપાસ કરી ગોળ-ચીકીના કુલ 19 નમૂના લેવામાં આવ્યા છે, જેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
તહેવાર દરમિયાન ગોળ-ચીકી સહિતના પરંપરાગત મીઠાઈઓનું વેચાણ વધતું હોવાથી નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના શક્તિનાથ, નર્મદા માર્કેટ, ઝાડેશ્વર તેમજ અંકલેશ્વર વિસ્તારમાં આવેલી દુકાનો પર ફૂડ વિભાગની ટીમે સ્થળ પર જઈ તપાસ કરી હતી.
ત્રણ દિવસની કાર્યવાહી દરમિયાન ગોળ અને ચીકી બનાવવાની પ્રક્રિયા તેમજ તેની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. લેવામાં આવેલા તમામ નમૂનાઓના રિપોર્ટ બાદ નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફૂડ વિભાગે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આવનાર દિવસોમાં પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં આવી જ તપાસ ચાલુ રહેશે. દર વર્ષે તહેવારો પહેલા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નમૂના લેવામાં આવે છે, જોકે ઘણી વખત તેના રિપોર્ટ તહેવાર બાદ આવતાં હોવાથી ત્યાં સુધીમાં લોકો આ ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરી ચૂકતા હોવાની ફરિયાદો પણ સામે આવતી રહે છે.
