ભારતના મહાન દાર્શનિક, આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. 12 જાન્યુઆરી 2026ના રોજ સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ સાથે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ની ઉજવણી કરી રહ્યો છે. યુવાનોમાં આત્મવિશ્વાસ, રાષ્ટ્રભાવના અને માનવતાના મૂલ્યો જગાવનાર સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ માર્ગદર્શક બની રહ્યા છે.
19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી, અંધશ્રદ્ધા અને નિરાશાના માહોલમાં હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વમંચ પર ભારતીય આધ્યાત્મિકતા અને માનવતાવાદનું ગૌરવપૂર્વક પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પ્રભાવશાળી વિચારો અને ભાષણોએ પશ્ચિમ દેશોના દ્રષ્ટિકોણમાં પણ મહત્વનો પરિવર્તન લાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ માત્ર સંન્યાસી નહીં પરંતુ સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત તરીકે ઓળખાય છે.
આ અવસરે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક તેમજ કલેક્ટર કચેરી નજીક આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને મહાનુભાવોએ ફુલહાર અર્પણ કરી તેમના જીવન અને કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોને સ્વામીજીના આદર્શો અપનાવવા અને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
ઉજવણીમાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જિલ્લા અને શહેર ભાજપ તથા યુવા મોરચાના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
