પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનની પ્રારંભની સાથે જ ધોધમાર વરસાદી પાણીના પગલે રોડ-રસ્તાનું ભારે ધોવાણ થતા નિમૉણની કામગીરીમાં ભારે ગોબાચારી થઇ હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. જેમાં નેત્રંગ-મોવી રોડ અને તાલુકાભરના રોડ-રસ્તા ઉપર મસમોટા ખાડા પડવા છતાં જવાબદાર માગૅ અને મકાન વિભાગ ધ્વારા પ્રાથમિક ધોરણે પણ સમારકામની કામગીરી કરવામાં નહીં આવતા વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.
નેત્રંગ-મોવી રોડ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ માગૅ ઉપર આવેલ છે.આ રોડ આગળ જઈને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી મળે છે, અને એકમાત્ર સીએનજી પંપ આવેલ હોવાથી રાત-દિવસ નાના-મોટા માલધારી વાહનોની હજારોની સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. એક-એક ફુંટ ઉંડા ખાડા પડવાથી વાહનચાલકોને જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા છે, મામુલી ગફલતથી રોજેરોજ અકસ્માતની ઘટના બની રહી છે. તેવા સંજોગોમાં તાત્કાલીક નેત્રંગ તાલુકાના રોડ-રસ્તા ઉપરના પડેલા ખાડાનું પ્રા.ધોરણે સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.