ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી વહેતી માધુમતિ ખાડીમાં હાલ મગર નજરે પડતા હોવાની વાતો બહાર આવતા રાજપારડી સારસા સહિતના માધુમતિ ખાડીના કિનારે આવેલા ગામોની જનતામાં ફફડાટ ફેલાયો છે. ખાડીમાં કેટલાક દિવસોથી મગર દેખાતા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. રાજપારડી વનવિભાગના મહેશભાઇએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે હાલ ચોમાસુ ચાલે છે, અને નર્મદા તેમજ માધુમતિ ખાડીમાં મોટાપ્રમાણમાં પાણી વહી રહ્યું છે ત્યારે બન્ને નદીઓનું પાણી એકાચાર થતાં નર્મદામાંથી મગર માધુમતિ ખાડીમાં આવી ચડ્યા હોય એમ બની શકે. જોકે ખાડીમાં મગર દેખાયા હોવા બાબતે કોઇ નાગરીકે હજુ વનવિભાગને જાણ નથી કરી, એમ તેમણે જણાવ્યું હતું. પરંતું સાવચેતીના રુપે નદીમાં મગરની હાજરી હોવા સંબંધી બોર્ડ કિનારા પર મુક્યું હોવાનું વનવિભાગ દ્વારા જણાવાયું હતું. ઉપરાંત ખાડીમાં ચોમાસામાં વધુ પ્રમાણમાં વહેતા પાણીને લઇને પાંજરુ મુકવું શક્ય નથી જણાતું એમ પણ જાણવા મળ્યું છે. ત્યારે માધુમતિ ખાડીમાં હાલ મગરોની હાજરી જણાતા માધુમતિ ખાડીના કાંઠા વિસ્તારના ગામોના લોકોએ ખાડી નજીક જતા સમયે સાવચેત રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે રાજપારડી નગરના કેટલાક રહેણાંક વિસ્તારો ખાડીની નજીકમાં આવેલ હોઇ, લોકોએ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. નર્મદા નદીમાં પાછલા લાંબા સમયથી મોટી સંખ્યામાં મગરોનો વસવાટ જણાય છે. ભુતકાળમાં મગરો દ્વારા માણસો પર જીવલેણ હુમલા કરાયા હોવાની ઘટનાઓ પણ બની હતી. અને હાલ ચોમાસાને લઇને નર્મદા અને તેને મળતી ખાડીઓ પાણીથી ભરપૂર બનતા નર્મદામાંથી મગર માધુમતિ ખાડીમાં આવી ચડ્યા હોવાની સંભાવના છે. અને ખાડીમાં મગરોની હાજરીની વાતે કિનારાના ગામોની જનતામાં ભયનો માહોલ ફેલાયો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ