નવચંડી યજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકોની હાજરી
ભરૂચ.
ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું.
પાટોત્સવના પાવન અવસરે વહેલી સવારે ૯ કલાકે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર અને હવનની પવિત્ર આહુતિઓથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. યજ્ઞ દરમિયાન ગામજનો અને ભાવિકોએ શ્રદ્ધાભાવે હાજરી આપી ધર્મલાભ મેળવ્યો હતો.
ત્યારબાદ સાંજે ૪ કલાકે શ્રીફળ હોમ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારવામાં આવી હતી. મહાઆરતી દરમિયાન ભક્તો જયઘોષ અને ભજન-કીર્તન સાથે ભક્તિરસમાં લીન બન્યા હતા.
ધાર્મિક મહોત્સવના અંતે સાંજે ૬ કલાકે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, આસ્થા અને ઉત્સાહનો અદભુત માહોલ જોવા મળ્યો હતો.
જૂના તવરા સહિત આજુબાજુના ગામોના લોકો પણ આ પાટોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા ગોહિલ પરિવાર તેમજ ગામના આગેવાનો અને યુવક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં પૂર્ણ થયો હતો.
