ભરૂચ
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ (IHRSJC) દ્વારા ભરૂચ શહેરમાં આજરોજ પ્રતિષ્ઠિત “ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬” નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સમાજમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી તથા વર્લ્ડ હ્યુમન રાઈટ્સ એમ્બેસેડર ડો. સંતોષ બજાજ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ IHRSJCના ઈન્ટરનેશનલ એન્ડ નેશનલ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે. તેમના પ્રેરણાદાયી સંબોધનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ઊર્જા મળી હતી.
સમારોહમાં વિશેષ મહાનુભાવ તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ મોદી તથા ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ સમાજમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓની કામગીરીને બિરદાવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લાની વિવિધ નામાંકિત સમાજસેવી સંસ્થાઓ તથા સેવાભાવી આગેવાનોને “ભરૂચ રત્ન એવોર્ડ્સ ૨૦૨૬” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક પ્રવીણભાઈ પટેલ, સાર્થક ફાઉન્ડેશનના હેતલભાઈ શાહ, હેમાબેન પટેલ સંચાલિત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જ્હાનવીબેન દર્શન સંચાલિત નિજ ફાઉન્ડેશન, દિપાલીબેન બારોટના એકતા એજ લક્ષ્ય સંગઠન સહિત વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય યોગદાન આપનાર અન્ય સંસ્થાઓ અને પ્રતિભાઓનો સમાવેશ થયો હતો.
કાર્યક્રમ દરમિયાન સમાજ સેવા, શિક્ષણ, કલા, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને માનવ અધિકાર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારાઓને શાલ, સન્માનપત્ર અને ટ્રોફી અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સન્માનિત થયેલ તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.
IHRSJC દ્વારા જણાવાયું હતું કે “ભરૂચ રત્ન એવોર્ડ્સ” નો મુખ્ય હેતુ સમાજ માટે નિઃસ્વાર્થ સેવા આપનાર અને સકારાત્મક પરિવર્તન લાવનાર વ્યક્તિઓને ઓળખ આપી તેમને વધુ પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા, માનવતા અને સેવાભાવનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ ભવ્ય સમારોહ ભરૂચના ગૌરવવંત નાગરિકો માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ તથા ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
