ઇજાગ્રસ્તને પહેલા ભરૂચ સિવિલ પછી વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડાયા
ભરૂચ.
દહેજથી ભરૂચ જતાં રોડ પર અટાલી અને રહિયાદ ગામ વચ્ચે મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સુરતના કડોદરા ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અર્જુનકુમાર વંશરાજ યાદવ (ઉ.વ. 47), મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના રહેવાસી, ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. તેઓ નવી ખરીદેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર પોતાના પુત્રને મળવા માટે જોલવા ખાતે ગયા હતા.
પુત્ર સુમિત યાદવને મળ્યા બાદ અર્જુનકુમાર યાદવ રાત્રિના સમયે જોલવાથી કડોદરા તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન દહેજ–ભરૂચ રોડ પર અટાલી અને રહિયાદ ગામ વચ્ચે તેમની મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા તેઓ રોડ પર પડી ગયા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ થતા ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
